ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

ઉત્પત્તિ

લેખક

યહૂદી પરંપરા અને બાઇબલના બીજા લેખકો મૂસાને સમગ્ર પંચગ્રંથ એટલે કે જૂના કરારના પ્રથમ પાંચ પુસ્તકોનો લેખક કહે છે કે જે પ્રબોધક અને ઇઝરાયલને છોડાવનાર હતો. મિસરના દરબારમાંનું તેણે મેળવેલું શિક્ષણ (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૨) અને યહોવાહ (ઈશ્વરનું હિબ્રૂ ભાષનું નામ) સાથેનો તેનો ઘનિષ્ઠ સંબંધ અને વ્યવહાર આ વિધાનને ટેકો આપે છે. ઈસુએ પોતે મૂસાને લેખક તરીકે પુષ્ટિ આપી હતી (યોહાન 5:45-47), અને તે જ રીતે તેમના સમયના શાસ્ત્રીઓ તથા ફરોશીઓએ પણ તેને પુષ્ટિ આપી હતી.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.

સંભવિત છે કે જે વર્ષ દરમ્યાન ઇઝરાયલીઓએ સિનાઈ પાસે અરણ્યમાં છાવણી કરી ત્યારે કદાચ મૂસાએ આ પુસ્તક લખ્યું હતું.

વાંચકવર્ગ

શ્રોતાગણ શરૂઆતના ઇઝરાયલીઓ એટલે કે તેમની મિસરની ગુલામીમાંથી છુટકારો પામ્યા બાદના અને વચનના દેશ કનાનમાં પ્રવેશ્યા તે પહેલાંના લોકો હોવા જોઈએ.

હેતુ

મૂસાએ તેમના રાષ્ટ્રનો 'કૌટુંબિક ઇતિહાસ' સમજાવવા આ પુસ્તક લખ્યું હતું. ઉત્પત્તિનું પુસ્તક લખવામાં મૂસાનો હેતુ કેવી રીતે મિસરની ગુલામીમાં રાષ્ટ્રની સ્થાપના થઈ (૧:૮) અને જે દેશમાં તેઓ પ્રવેશવાના હતા તે કેમ "વચનનો દેશ" હતો તે સમજાવવાનો હતો (૧૭:૮). તેનો હેતુ ઇઝરાયલ સાથે જે બધું બન્યું તેમાં ઈશ્વરનું સાર્વભૌમત્વ અને મિસરમાંની તેમની ગુલામી એક અકસ્માત નહોતો પણ ઈશ્વરની વિશાળ યોજનાનો એક ભાગ હતો (૧૫:૧૩-૧૬, ૫૦:૨૦) અને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર એ જ હતા કે જેમણે જગતનું સર્જન કર્યું હતું તે દર્શાવવાનો હતો (૩:૧૫-૧૬). ઇઝરાયલના ઈશ્વર ઘણા દેવોમાંનાં માત્ર એક દેવ નહોતા પણ આકાશો તથા પૃથ્વીના સર્વોચ્ચ ઉત્પન્નકર્તા હતા.

મુદ્રાલેખ

શરૂઆતો

રૂપરેખા સૃષ્ટિસર્જન (1:12 - 33:24) મનુષ્યનું પાપ (3:1-24) આદમની પેઢી (4:1 - 6:8) નૂહની પેઢી (6:9 - 11:32) ઇબ્રાહિમનો ઇતિહાસ (11:33 - 12:11) બાઇબલના પૂર્વજો (12:12 - 25:18) ઇસહાક અને તેના પુત્રોનો ઇતિહાસ (25:19 - 36:43) યૂસફની પેઢી (37:1 - 50:26)

Chapter 1

બ્રહ્માંડની રચના

1 પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. 2 પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા [1] પાણી પર ફરતો હતો.

3 ઈશ્વરે કહ્યું, "ત્યાં અજવાળું થાઓ" અને અજવાળું થયું. 4 ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. 5 ઈશ્વરે અજવાળાંને "દિવસ" અને અંધારાને "રાત" કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ [2] .

6 ઈશ્વરે કહ્યું, "પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો." 7 ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. 8 ઈશ્વરે અંતરિક્ષને "આકાશ" કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.

9 ઈશ્વરે કહ્યું, "આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ." એ પ્રમાણે થયું. 10 ઈશ્વરે કોરી જગ્યાને "ભૂમિ" કહી અને એકત્ર થયેલા પાણીને "સમુદ્રો" કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.

11 ઈશ્વરે કહ્યું, "પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે." એ પ્રમાણે થયું. 12 ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 13 સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.

14 ઈશ્વરે કહ્યું, "રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. 15 પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ." એ પ્રમાણે થયું.

16 ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા. 17 ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, 18 દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 19 સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.

20 ઈશ્વરે કહ્યું, "પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો." 21 ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.

22 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, "સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો." 23 સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.

24 ઈશ્વરે કહ્યું કે, "પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો." એ પ્રમાણે થયું. 25 ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.

26 ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે." 27 ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.

28 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો." 29 ઈશ્વરે કહ્યું કે, "જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.

30 પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે." એ પ્રમાણે થયું. 31 ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.


1:2 [1] સામર્થ્ય અથવા ઈશ્વર તરફથી પવન
1:5 [2] પ્રથમ દિવસ યહૂદી લોકો સાંજથી બીજા દિવસ સાંજ સુધી એક દિવસ માનતા હતા.

Chapter 2

1 આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું [1] સર્જન પૂર્ણ થયું. 2 ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો. 3 ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.

આદમ અને હવા

4 આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે યહોવાહ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં, 5 ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે યહોવાહ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું. 6 પણ પૃથ્વી પર ઝરણું [2] પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.

7 યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું. 8 યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.

9 યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં. 10 વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.

11 પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું મળે છે. 12 તે દેશનું સોનું સારું છે. ત્યાં મૂલ્યવાન મોતી તથા અકીક પાષાણ પણ છે.

13 બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ [3] દેશને ઘેરે છે. 14 ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે.

15 યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો. 16 યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, "વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે. 17 પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે."

18 પછી યહોવાહ ઈશ્વરે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ. 19 યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. 20 તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમ [4] ને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.

21 યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું. 22 યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા. 23 તે માણસ બોલી ઊઠ્યો કે,

     "આ મારા હાડકામાંનું હાડકું

         અને મારા માંસમાનું માંસ છે.

     તે 'નારી' કહેવાશે,

         કેમ કે તે નરમાંથી લેવાયેલી છે."

24 તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે. 25 તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.


2:1 [1] સર્વ સેનાઓનું સર્વ વસ્તુઓ
2:6 [2] ઝરણું ઝાકળ
2:13 [3] કૂશ ઈથિયોપિયા
2:20 [4] આદમ માણસ

Chapter 3

પાપનો આરંભ

1 હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, "શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'" 2 સ્ત્રીએ સાપને કહ્યું કે, "વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ, 3 પણ ઈશ્વરે કહેલું છે કે, "જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'"

4 સાપે સ્ત્રીને કહ્યું કે, "તમે મૃત્યુ નહિ પામો. 5 કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો." 6 તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.

7 ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં. 8 દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.

9 યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, "તું ક્યાં છે?" 10 આદમે કહ્યું કે, "મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો." 11 ઈશ્વરે કહ્યું, "તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?"

12 તે માણસે કહ્યું કે, "મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું." 13 યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, "આ તેં શું કર્યું?" સ્ત્રીએ કહ્યું કે, "સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું."

ઈશ્વરની સજા

14 યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, "તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે. 15 તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે."

16 વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, "હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે."

17 તેમણે આદમને કહ્યું, "કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે. 18 ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. 19 તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.

20 તે માણસે તેની પત્નીનું નામ હવા [1] પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી. 21 યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.

આદમ અને હવાને વાડીમાંથી કાઢી મૂકવું

22 પ્રભુ ઈશ્વરે કહ્યું કે, "હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય." 23 તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યો. 24 ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.


3:20 [1] હવા જીવન

Chapter 4

કાઈન અને હાબેલ

1 આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે." 2 પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.

3 આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. 4 હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં, 5 પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.

6 યહોવાહે કાઈનને કહ્યું કે, "તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે? 7 જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ."

8 કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા [1] , ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.

9 પછી ઈશ્વરે કાઈનને કહ્યું, "તારો ભાઈ હાબેલ ક્યાં છે?" તેણે કહ્યું, "હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?"

10 ઈશ્વરે કહ્યું, "આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી બદલો લેવા માટે મને હાંક મારે છે. 11 હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે. 12 તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં બળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે."

13 કાઈને ઈશ્વરને કહ્યું કે, "હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે. 14 તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે." 15 ઈશ્વરે તેને કહ્યું કે, "જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે." પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.

16 કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ [2] દેશમાં રહ્યો.

કાઈનનો વંશજો

17 કાઈને તેની પત્ની સાથે વૈવાહિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થઈ. તેણે હનોખને જન્મ આપ્યો. કાઈને એક નગર બાંધ્યું અને તેનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોખ નગર રાખ્યું.

18 હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો. 19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું.

20 આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો. 21 તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો. 22 સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.

23 લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે,

     "આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો,

         હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો.

     મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે,

         મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.

     24 જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય,

         તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે."

શેથનો જન્મ

25 પછી આદમથી સગર્ભા થયેલી તેની પત્ની હવાએ બીજા એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ શેથ રાખવામાં આવ્યું. ત્યારે હવાના ઉદ્દગાર આ હતા: "કાઈને હાબેલને મારી નાખ્યો હતો. એ હાબેલના બદલામાં ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે." 26 શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.


4:8 [1] "ચાલ, આપણે ખેતરમાં જઈએ."
4:16 [2] ભટકવાનું દેશ

Chapter 5

આદમની વંશાવળી

1 આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું. 2 પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.

3 જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું. 4 શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો. 5 આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

6 જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો. 7 અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 8 શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.

9 જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો. 10 કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 11 અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

12 જયારે તેના પુત્ર માહલાલેલ [1] નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો. 13 માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 14 કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

15 જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો. 16 યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 17 માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.

18 જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો. 19 હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 20 યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

21 તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો. 22 મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 23 હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું. 24 હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.

25 જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો. 26 લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 27 મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.

28 જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો. 29 તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, "આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે."

30 નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. 31 લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.

32 નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.


5:12 [1] માહલાએલ ઈશ્વરની સ્તુતિ

Chapter 6

માણસોની દુષ્ટતા

1 પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે, 2 ઈશ્વરના દીકરાઓ [1] એ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી. 3 ઈશ્વરે કહ્યું કે, "મારો આત્મા [2] માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે."

4 ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.

5 ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે. 6 તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.

7 ઈશ્વરે કહ્યું કે, "જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું." 8 પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.

નૂહની વૃતાંત

9 નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો. 10 નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.

11 ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી. 12 ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.

13 ઈશ્વરે નૂહને કહ્યું કે, "હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ. 14 તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર. 15 તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.

16 વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ. 17 સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.

18 પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ. 19 સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.

20 દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ. 21 સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે. 22 ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.


6:2 [1] ઈશ્વરના દીકરાઓ સ્વર્ગીય આત્માઓ
6:3 [2] આત્મા જીવન આપનાર આત્મા

Chapter 7

જળપ્રલય પૃથ્વીને ઢાંકી દે છે

1 ઈશ્વરે નૂહને કહ્યું, "તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે. 2 દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે. 3 તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.

4 સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ." 5 ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.

6 જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી. 7 જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.

8 શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા, 9 તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહ પાસે આવ્યાં અને વહાણમાં ગયા. 10 સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.

11 નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો. 12 ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.

13 તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો. 14 તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.

15 સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં. 16 જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.

17 પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું. 18 પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.

19 પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા. 20 પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ [1] જેટલી ઊંચી વધી ગઈ.

21 પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા. 22 કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.

23 આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં. 24 પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.


7:20 [1] પંદર હાથ સાત મીટર

Chapter 8

જળપ્રલયનો અંત

1 ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું. 2 જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો. 3 જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.

4 સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું. 5 પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.

6 ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી. 7 તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.

8 પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું, 9 પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.

10 બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું. 11 કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે. 12 તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.

13 નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી. 14 બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.

15 પછી ઈશ્વરે નૂહને કહ્યું કે, 16 "તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો. 17 વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે."

18 તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં. 19 દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.

નૂહ યહોવાહની સ્તુતિ કરે છે

20 નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં. 21 યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, "બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું. 22 પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.

Chapter 9

નૂહ સાથે ઈશ્વરનો કરાર

1 પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. 2 પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.

3 પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું. 4 પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.

5 હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ. 6 જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે. 7 તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ."

8 પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું, 9 "હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ. 10 અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.

11 તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.

12 ઈશ્વરે કહ્યું, "મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે: 13 મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.

14 જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, 15 ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.

16 મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ."

17 પછી ઈશ્વરે નૂહને કહ્યું, "મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે."

નૂહ અને તેનો દીકરાઓ

18 નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો. 19 નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.

20 નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી. 21 તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો.

22 કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું. 23 તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.

24 જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું. 25 તેથી તેણે કહ્યું કે,

     "કનાન શાપિત થાય.

         દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે."

26 તેણે કહ્યું કે,

     "ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ.

         કનાન તેનો દાસ થાઓ.

     27 યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો,

         અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે.

         કનાન તેનો દાસ થાઓ."

28 જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો. 29 નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.

Chapter 10

નૂહના દીકરાઓની વંશાવળી

1 નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.

યાફેથના વંશજો

2 ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ [1] હતા. 3 આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા. 4 એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા. 5 તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.

હામના વંશજો

6 કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા. 7 કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.

8 કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો. 9 તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, "નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો." 10 તેણે શિનઆર દેશના બાબિલ [2] , એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.

11 ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા, 12 રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.

13 મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ, 14 પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.

15 કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ, 16 વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી, 17 હિવ્વી, આર્કી, સિની, 18 આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.

19 કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી. 20 આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.

શેમના વંશજો

21 શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો. 22 શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા. 23 અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.

24 આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો. 25 એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.

26 યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ; 27 હદોરામ, ઉઝાલ, દિકલાહ; 28 ઓબાલ, અબિમાએલ, શેબા; 29 ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.

30 મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો. 31 પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.

32 તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.


10:2 [1] યાફેથના દીકરાઓ વંશજો
10:10 [2] બાબિલ બાબિલોન

Chapter 11

બાબિલનો બુરજ

1 હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી. 2 તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર [1] દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા.

3 તેઓએ એકબીજાને કહ્યું કે, "ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ." પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો. 4 તેઓએ કહ્યું, "આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ."

5 તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા. 6 ઈશ્વરે કહ્યું, "જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ. 7 આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ."

8 તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ. 9 તેથી તે નગરને બાબિલ [2] એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા.

શેમથી ઇબ્રામ સુધીના વંશાવળી

10 શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો. 11 આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.

12 જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો. 13 શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.

14 જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર એબેરનો જન્મ થયો. 15 એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

16 એબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો. 17 પેલેગનો પિતા થયા પછી એબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

18 પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો. 19 રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

20 રેઉ બત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર સરૂગનો જન્મ થયો. 21 સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

22 સરૂગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર નાહોરનો જન્મ થયો. 23 નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

24 નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો. 25 તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.

26 તેરાહ સિત્તેર વર્ષનો થયા પછી તેના પુત્ર ઇબ્રામ, નાહોર તથા હારાનના જન્મ થયા.

તેરાહની વંશાવળી

27 હવે તેરાહની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો. 28 હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, ખાલદીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.

29 ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા. 30 હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.

31 તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં. 32 તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.


11:2 [1] શિનઆર બાબિલોન
11:9 [2] બાબિલ બાબિલોન

Chapter 12

ઇબ્રામને ઈશ્વરનું તેડું

1 હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું તારો દેશ, તારા સગાંઓ [1] અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા. 2 હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. 3 જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.

4 તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. 5 ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.

6 ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. 7 ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, "હું તારા વંશજોને આ દેશ આપીશ." તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.

8 ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી. 9 પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી.

ઇબ્રામ અને સારાય મિસરમાં

10 તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો. 11 જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, "હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે. 12 મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, 'આ તેની પત્ની છે' તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે. 13 તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય."

14 ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે. 15 ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી. 16 ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.

17 પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી. 18 ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, "આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે? 19 તેં શા માટે કહ્યું કે, 'તે મારી બહેન છે?' તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા." 20 પછી ફારુને તેના સરદારોને તેઓ સંબંધી આજ્ઞા આપી. તેથી તેઓએ ઇબ્રામને, તેની પત્નીને અને તેઓની સાથે સર્વ સંપત્તિને દેશની બહાર મોકલી આપ્યાં.


12:1 [1] સગાંઓ જન્મભૂમિ

Chapter 13

ઇબ્રામ અને લોત છુટા પડ્યા

1 તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો. 2 ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.

3 નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી. 4 અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.

5 હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા કુટુંબો [1] હતા. 6 તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી. 7 એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.

8 તેથી ઇબ્રામે લોતને કહ્યું, "તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ. 9 શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ."

10 તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો. 11 તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.

12 ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો. 13 હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.

ઇબ્રામ હેબ્રોનમાં જાય છે

14 ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો. 15 જે સર્વ પ્રદેશ તું જુએ છે, તે હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.

16 અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે. 17 ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ." 18 તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.


13:5 [1] કુટુંબો તંબુ

Chapter 14

ઇબ્રામ લોતને છોડાવે છે

1 શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન, 2 સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.

3 એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા. 4 બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો. 5 પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને, 6 હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.

7 પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.

8 પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને, 9 એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.

10 હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા. 11 પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા. 12 જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.

13 જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. 14 જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.

15 તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો. 16 પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો.

મલ્ખીસદેક ઇબ્રામને આશીર્વાદ આપે છે

17 કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો. 18 સાલેમ [1] નો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.

19 તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, "પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. 20 જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ." પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.

21 સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, "મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે." 22 ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, "પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે, 23 હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, 'મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે.' 24 જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે."


14:18 [1] સાલેમ યરુશાલેમ

Chapter 15

ઇબ્રામ સાથે ઈશ્વરનો કરાર

1 પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, "ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ." 2 ઇબ્રામે કહ્યું, "પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે." 3 ઇબ્રામે કહ્યું, "તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે."

4 પછી ઈશ્વરના વચન તેની પાસે આવ્યું અને કહ્યું, "એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે." 5 પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, "તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ," પછી તેમણે તેને કહ્યું, "એ તારાઓ જેટલાં તારા સંતાન થશે."

6 તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો. [1] 7 ઈશ્વરે તેને કહ્યું, "આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું." 8 તેણે કહ્યું, "પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?"

9 પછી તેમણે તેને કહ્યું, "મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે." 10 તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ. 11 જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.

12 પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો. 13 પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.

14 તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે. 15 પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે. 16 તારા વંશજો ત્યાંથી ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અત્યારે અહીં રહેતા અમોરીઓના પાપનો ઘડો ત્યારે ભરાઈ જશે અથવા તેઓ શિક્ષાને પાત્ર થશે."

17 સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ. 18 તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, "મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. 19 કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો; 20 હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો; 21 અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે."


15:6 [1] ન્યાયીપણાના ગલતી ૩:૬, રોમી ૪:૩, યાકૂબ ૨:૨૩

Chapter 16

હાગાર અને ઇશ્માએલ

1 હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું. 2 તેથી સારાયે ઇબ્રામને કહ્યું, "જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું." ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું. 3 ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. 4 ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.

5 પછી સારાયે ઇબ્રામને કહ્યું, "મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો." 6 પણ ઇબ્રામે સારાયને કહ્યું, "તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર." તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.

7 અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ. 8 દૂતે તેને કહ્યું, "સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?" અને તેણે કહ્યું, "મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું."

9 ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે." 10 વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, "હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે."

11 દૂતે તેને એ પણ કહ્યું, "તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ [1] નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે. 12 તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે [2] દુશ્મનાવટથી રહેશે."

13 પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ "એલ-રોઈ [3] " પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?" 14 તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ [4] રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.

15 હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું. 16 જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.


16:11 [1] ઇશ્માએલ ઈશ્વર સંભાળે છે
16:12 [2] વચ્ચે પૂર્વ પ્રદેશ
16:13 [3] એલ-રોઈ ઈશ્વર જે મને જુએ છે
16:14 [4] બેર-લાહાય-રોઈ જીવતો ઈશ્વરનો કૂવો

Chapter 17

સુન્નત-કરારની નિશાની

1 ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા. 2 પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ.

3 ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું, 4 "જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે. 5 હવે તારું નામ ઇબ્રામ [1] નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ [2] થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે. 6 હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે.

7 તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ. 8 જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ."

9 ઈશ્વરે તેને કહ્યું, "તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે. 10 મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી. 11 તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.

12 તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી. 13 જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે. 14 દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે [3] . તેણે મારો કરાર તોડ્યો છે."

15 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે. 16 હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે."

17 પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, "જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?" 18 ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, "પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!"

19 ઈશ્વરે કહ્યું, "ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ. 20 ઇશ્માએલ માટે, મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, હું તેને સફળ કરીશ અને તેને અતિ ઘણો વધારીશ. તે બાર કુળોના આગેવાનોનો પિતા થશે અને હું તેનાં સંતાનોની એક મોટી કોમ બનાવીશ. 21 વળી ઇસહાક કે જેને આવતા વર્ષે નિયુક્ત કરેલા સમયે સારા તારે સારુ જન્મ આપશે, ત્યારે હું તેની સાથે મારો કરાર સ્થાપીશ."

22 ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરવાનું પૂરું કર્યું અને ઈશ્વર તેની પાસેથી ગયા. 23 પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.

24 જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો. 25 અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો. 26 ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ. 27 તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.


17:5 [1] ઇબ્રામ મોટો પૂર્વજ
17:5 [2] ઇબ્રાહિમ ઘણી જાતિઓનો પૂર્વજ
17:14 [3] લોકોમાંથી અલગ કરાશે બહાર કાઢી મૂકવું

Chapter 18

ઈશ્વરે ઇબ્રાહિમને પુત્રનું વચન આપ્યું

1 બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું. 2 તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.

3 તેણે કહ્યું, "હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ. 4 હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો. 5 હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું." અને તેઓએ કહ્યું, "તું કહે છે તે પ્રમાણે કર."

6 પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, "જલ્દી કર. ત્રણ માપ [1] મેંદો મસળ અને રોટલી તૈયાર કર." 7 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો. 8 તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.

9 તેઓએ તેને કહ્યું, "તારી પત્ની સારા ક્યાં છે?" તેણે જવાબ આપ્યો, "ત્યાં, તંબુમાં છે." 10 યહોવાહે તેને કહ્યું, "હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે." તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.

11 હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી. 12 તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, "હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?"

13 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "શા માટે સારા એમ કહેતાં હસી કે, 'શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?' 14 ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે." 15 પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, "હું તો હસી નથી," કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, "ના, તું નિશ્ચે હસી છે."

ઇબ્રાહિમ સદોમને માટે મધ્યસ્થી કરે છે

16 પછી તે પુરુષો ત્યાંથી જવાને ઊઠ્યા અને સદોમ તરફ જોયું. ઇબ્રાહિમ તેઓને તેઓના રસ્તા સુધી વળાવવા તેઓની સાથે ગયો. 17 પણ ઈશ્વરે કહ્યું, "જે હું કરવાનો છું તે શું હું ઇબ્રાહિમથી સંતાડું? 18 કેમ કે ઇબ્રાહિમથી નિશ્ચે એક મોટી તથા સમર્થ દેશજાતિ થશે અને તેના વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે. 19 મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે."

20 પછી ઈશ્વરે કહ્યું, "કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે, 21 માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે.

22 તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો. 23 પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, "શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?

24 કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો? 25 એવું કરવાનું તમે ટાળો. એટલે ભ્રષ્ટ લોકોની સાથે ન્યાયીઓને મારી નાખવા. અને દુષ્ટો જેવો જ વ્યવહાર ન્યાયીઓની સાથે થાય એવું તો તમે નહિ જ કરો! આખી પૃથ્વીના ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?" 26 ઈશ્વરે કહ્યું, "જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ."

27 ઇબ્રાહિમે ઉત્તર આપ્યો અને કહ્યું, "મેં શું કર્યું છે? હું ધૂળ તથા રાખ હોવા છતાં મેં પ્રભુ ઈશ્વરની આગળ બોલવાની હિંમત કરી છે! 28 જો ત્યાં પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય તો પાંચ ઓછા હોવાના લીધે શું તમે તે નગરનો નાશ કરશો?" અને તેમણે કહ્યું, "જો મને ત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણ હું તેનો નાશ નહિ કરું."

29 તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, "કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?" તેમણે ઉત્તર આપ્યો, "ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું." 30 તેણે કહ્યું, "કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?" તેમણે ઉત્તર આપ્યો, "જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ." 31 તેણે કહ્યું, "મેં પ્રભુ આગળ બોલવાની હિંમત કરી છે! કદાચ ત્યાં વીસ મળે તો." તેમણે ઉત્તર આપ્યો, "વીસ ન્યાયીને લીધે પણ હું તેનો નાશ નહિ કરું."

32 અંતે તેણે કહ્યું, "પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?" તેમણે કહ્યું, "દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું." 33 ઇબ્રાહિમ સાથે વાત પૂરી કરી થઈ. તે સાથે જ ઈશ્વર તેમના માર્ગે ચાલ્યા ગયા અને ઇબ્રાહિમ તેના ઘરે પાછો ગયો.


18:6 [1] ત્રણ માપ લગભગ ૨૧ કિલો

Chapter 19

સદોમનું નાશ

1 સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. 2 તેણે કહ્યું, "મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો." અને તેઓએ કહ્યું, "ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ." 3 પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા.

4 પરંતુ તેઓના સૂઈ ગયા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમ નગરના દરેક ભાગથી ધસી આવેલા વૃદ્ધો અને જુવાનો લોકોએ ઘરને ઘેરી લીધું. 5 તેઓએ લોતને બોલાવ્યો અને તેને કહ્યું, "જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, કે અમે તેઓ પર બળાત્કાર કરીએ."

6 તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું. 7 તેણે કહ્યું, "મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે એવું ખરાબ કામ કરશો નહિ. 8 મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો."

9 તેઓએ કહ્યું, "પાછો હટ!" તેઓએ એ પણ કહ્યું, "આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું." તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં.

10 પણ અંદર રહેલા પુરુષોએ પોતાના હાથ લંબાવીને તેઓની પાસેથી લોતને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. 11 અને ઘરના બારણા પાસે જે હતા, તે સર્વને અંધ બનાવી દીધા. તેઓ ઘરનું બારણું શોધતાં શોધતાં થાકી ગયા.

લોત અને તેના કુટુંબ સદોમ છોડ્યું

12 પછી તેઓએ લોતને કહ્યું, "અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે. 13 અમે આ જગ્યાનો નાશ કરવાના છીએ, કારણ કે આ લોકોનાં ખરાબ કૃત્યો તેઓની વિરુદ્ધ ઈશ્વરની આગળ પુષ્કળ પ્રમાણમાં થયાં છે. તેથી તેઓનો નાશ કરવાને ઈશ્વરે અમને મોકલ્યા છે."

14 લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, "જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે." પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે. 15 વહેલી સવારે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, "ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને લઈને નીકળી જા, જેથી નગરને થનારી સજામાં તું નાશ ન પામે."

16 પણ તે વિલંબ કરતો હતો. તેથી તે દૂતોએ તેના, તેની પત્નીના અને તેની બે દીકરીઓના હાથ પકડ્યા, કેમ કે ઈશ્વર તેની પર દયાળુ હતા. તેઓ તેમને બહાર લાવ્યા અને તેઓને નગરની બહાર પહોંચાડ્યાં. 17 તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, "તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે."

18 લોતે તેઓને કહ્યું, "ઓ, મારા પ્રભુ, એમ નહિ! 19 તમારો દાસ તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને મારો જીવ બચાવવા માટે તમે મોટી કૃપા બતાવી છે. પરંતુ હું પર્વત પર પણ બચી શકતો નથી, કેમ કે મારા પર આફત આવશે અને હું મરણ પામીશ. 20 હવે જુઓ, નાસી જવાને માટે પેલું નાનું નગર પાસે છે. કૃપા કરીને મને ત્યાં નાસી જવા દો, કે જેથી મારો જીવ બચી જાય.

21 તેમણે તેને કહ્યું, "ઠીક છે, તારી આ વિનંતી હું માન્ય રાખું છું, તેં જે નગરનો ઉલ્લેખ કર્યો છે, તેનો નાશ હું નહિ કરું. 22 ઉતાવળ કર! ત્યાં નાસી જા, કેમ કે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કંઈ જ કરી શકતો નથી." તે માટે તે નગરનું નામ સોઆર [1] પડ્યું.

સદોમ અને ગમોરાનો વિનાશ

23 લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો. 24 પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં. 25 તેમણે તે નગરનો, સર્વ નીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથા ભૂમિ પર ઊગેલી વનસ્પતિ નાશ કર્યો.

26 પણ લોતની પત્ની જે તેની પાછળ હતી, તેણે પાછળ ફરીને જોયું અને તે જ ક્ષણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ.

27 ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને જે સ્થળે તે ઈશ્વરની આગળ ઊભો રહ્યો હતો ત્યાં તે આવ્યો. 28 તેણે સદોમ તથા ગમોરાની તરફ અને આખા નીચાણના પ્રદેશ તરફ નજર કરી. તેણે જોયું, તો જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઊંચે ફેલાતો જતો હતો.

29 આમ જ્યારે ઈશ્વરે તે મેદાનોના નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને યાદ કર્યો. જ્યાં લોત રહેતો હતો, તે નગરોનો નાશ તેમણે કર્યો, ત્યારે એવા નાશમાંથી તેમણે લોતને બહાર લાવીને બચાવી લીધો.

મોઆબીઓ અને આમોનીઓનું મૂળ

30 પણ લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સાથે પહાડમાં જઈને રહ્યો, કેમ કે સોઆરમાં રહેતાં તે બીતો હતો. તેથી તેણે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં વસવાટ કર્યો.

31 મોટી દીકરીએ નાનીને કહ્યું, "આપણા પિતા વૃદ્ધ થયા છે અને દુનિયાની રીત પ્રમાણે આપણી સાથે સંબંધ બાંધવાને અહીં આ જગ્યા પર કોઈ પુરુષ નથી. 32 ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને આપણે તેમની સાથે સૂઈ જઈએ, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ." 33 તેથી તેઓએ તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી મોટી દીકરી અંદર જઈને પોતાના પિતાની સોડમાં સૂઈ ગઈ; તે ક્યારે સૂઈ ગઈ અને તે ક્યારે ઊઠી, એની ખબર લોતને પડી નહિ.

34 બીજા દિવસે મોટી દીકરીએ નાનીને કહ્યું, "સાંભળ, ગઈ કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂઈ ગઈ હતી. ચાલ આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તું પણ અંદર જઈને તેમની સોડમાં સૂઈ જા, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ." 35 તેઓએ તે રાત્રે પણ પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી નાની દીકરી ઊઠીને તેની સોડમાં સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી, એની કશી ખબર લોતને પડી નહિ.

36 લોતની બન્ને દીકરીઓ પોતાના પિતા દ્વારા ગર્ભવતી થઈ. 37 મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ રાખ્યું. તે આજ સુધીના મોઆબીઓનો પૂર્વજ છે. 38 એ જ પ્રમાણે નાનીએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ તેણે બેન-આમ્મી રાખ્યું. તે આજ સુધીના આમ્મોનીઓનો પૂર્વજ છે.


19:22 [1] સોઆર નાનું

Chapter 20

ઇબ્રાહિમ અને અબીમેલેખ

1 ઇબ્રાહિમ મુસાફરી કરતા નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો. તેણે ગેરારમાં વિદેશી તરીકે વસવાટ કર્યો. 2 ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, "તે મારી બહેન છે." તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી. 3 પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, "તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે."

4 હવે અબીમેલેખ તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું, "પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો? 5 શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, 'તે મારી બહેન છે?' વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, 'તે મારો ભાઈ છે.' મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે."

6 પછી ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, "હા, હું જાણું છું કે તેં તારા સાચા હૃદયથી આ કામ કર્યું છે અને મેં પણ તને મારી વિરુદ્ધ અપરાધ કરવાથી અટકાવ્યો છે. તેથી મેં તને તેને સ્પર્શવા માટે પરવાનગી આપી નહિ. 7 તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો."

8 અબીમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના સર્વ ચાકરોને બોલાવ્યા. તેણે તેઓને આ સર્વ બાબતો કહી સંભળાવી અને તે માણસો ઘણાં ગભરાયા. 9 પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, "આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે."

10 અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, "તને આવું કરવા કોણે પ્રેરણા આપી?" 11 ઇબ્રાહિમે કહ્યું, "કેમ કે મને લાગ્યું, 'નિશ્ચે આ જગ્યાએ ઈશ્વરનો ભય રખાતો નથી અને તેઓ મારી પત્નીના લીધે મને મારી નાખશે, એવું સમજીને મેં એમ કર્યું.' 12 એક રીતે, તે મારી બહેન છે, એ સાચું છે, એટલે તે મારા પિતાની દીકરી છે, પણ મારી માતાની દીકરી નથી; અને તે મારી પત્ની થઈ.

13 જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, 'મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, "આ મારો ભાઈ છે."'" 14 પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી.

15 અબીમેલેખે કહ્યું, "જો, મારો દેશ તારી આગળ છે. જ્યાં તને યોગ્ય લાગે ત્યાં રહે." 16 સારાને પણ તેણે કહ્યું, "જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે."

17 પછી ઇબ્રાહિમે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ અબીમેલેખને, તેની પત્નીને તથા તેની દાસીઓને સાજા કરે કે જેથી તેઓ બાળકોને જન્મ આપી શકે. 18 કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને કારણે ઈશ્વરે અબીમેલેખના ઘરમાંની તમામ સ્ત્રીઓનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.

Chapter 21

ઇસહાકનો જન્મ

1 ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું. 2 સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો. 3 ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું. 4 ઈશ્વરે ઇબ્રાહિમને આપેલી આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.

5 જયારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો. 6 સારાએ કહ્યું, "ઈશ્વરે મને પ્રફુલ્લિત કર્યો છે; દરેક જે આ વાત સાંભળશે તેઓ મારી સાથે હસશે." 7 તેણે એમ પણ કહ્યું, "ઇબ્રાહિમને કોણ કહેશે કે સારા છોકરાંને પોતાનું દૂધ પીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણ મેં તેના માટે એક દીકરાને જન્મ આપ્યો છે!"

હાગાર અને ઇશ્માએલને કાઢી મૂક્યાં

8 તે બાળક મોટો થયો અને તેને દૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારે દૂધ છોડ્યું તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી. 9 પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ મશ્કરી કરતો જોયો.

10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, "આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક: કેમ કે આ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની સાથે વારસનો ભાગીદાર થશે નહિ." 11 આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધે ઘણી દુઃખદાયક લાગી.

12 પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે. 13 વળી તારી દાસીના દીકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તે પણ તારું સંતાન છે."

14 ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. 15 રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો. 16 પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, "છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?" બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન [1] કર્યું.

17 ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, "હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે. 18 ઊઠ, છોકરાંને તારા હાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વર તેનાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.

19 પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું. 20 ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો. 21 તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં.

ઇબ્રાહિમ અને અબીમેલેખ વચ્ચે સંધિ

22 અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, "જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે. 23 તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે." 24 અને ઇબ્રાહિમે કહ્યું, "હું ઈશ્વરની હજૂરમાં સમ લઈને કહું છું કે એમ કરીશ."

25 પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. 26 અબીમેલેખે કહ્યું, "એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી." 27 તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.

28 પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી. 29 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, "તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?" 30 તેણે જવાબ આપ્યો, "આ સાત ઘેટીઓ મારા હાથથી તું લે કે જેથી આ કૂવો મેં ખોદ્યો છે તેના વિષે તેઓ મારે માટે સાક્ષી થાય."

31 તે માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા [2] આપ્યું, કેમ કે ત્યાં તે બન્નેએ ઈશ્વરની હજૂરમાં કરાર કર્યો હતો. 32 આમ તેઓએ બેરશેબામાં કરાર કર્યો અને પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.

33 ઇબ્રાહિમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી. 34 ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.


21:16 [1] છોકરો રડ્યો
21:31 [2] સાત કૂવો, કરારનો કૂવો

Chapter 22

ઇબ્રાહિમની કસોટી

1 ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, "ઇબ્રાહિમ!" ઇબ્રાહિમે કહ્યું, "હું આ રહ્યો." 2 પછી ઈશ્વરે કહ્યું, "તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર." 3 તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.

4 ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી. 5 ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, "તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું." 6 પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા.

7 ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, "મારા પિતા" અને તેણે કહ્યું, "બોલ, મારા દીકરા, હું આ રહ્યો." તેણે કહ્યું, "જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે? 8 ઇબ્રાહિમે કહ્યું, "મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે." અને તેઓ આગળ ચાલ્યા.

9 જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો. 10 ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો.

11 પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, "ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!" અને તેણે કહ્યું, "બોલો, હું અહીં છું." 12 દૂતે તેને કહ્યું, "તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે."

13 ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું. 14 પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ "યહોવાહ-યિરેહ [1] " પાડ્યું." તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, "ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે."

15 ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, 16 અને કહ્યું કે, "આ ઈશ્વરની વાણી છે, "મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી, 17 તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.

18 તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે." 19 પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા.

નાહોરના દીકરાઓ

20 પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, "તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે." 21 તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ અરામનો પિતા, 22 કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.

23 રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો. 24 બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.


22:14 [1] યહોવાહ-યિરેહ ઈશ્વર પૂરું પાડશે

Chapter 23

સારાનું મરણ અને દાટવું

1 સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં. 2 તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.

3 પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું, 4 "હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો."

5 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 6 "મારા માલિક, અમારું સાંભળ. અમારી મધ્યે તો તું ઈશ્વરના રાજકુમાર જેવો છે. જે જગ્યા તને પસંદ પડે ત્યાં અમારી કોઈપણ કબરમાં તારી મૃત પત્નીને દફનાવ. તેને દફનાવવાને માટે અમારામાંથી કોઈપણ પોતાની કબર આપવાની ના નહિ પાડે."

7 ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા. 8 તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, "હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો. 9 તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે."

10 હવે એફ્રોન હેથના દીકરાઓ સાથે જ બેઠેલો હતો. અને પોતાના નગરના દરવાજામાં પેસનારા હેથના સર્વ દીકરાઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 11 "એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું."

12 પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા. 13 તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, "પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ."

14 એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 15 "કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ." 16 ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા અંદાજે સાતસો એંસી રૂપિયા એફ્રોનને ચૂકવ્યા.

17 તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે, 18 તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં.

19 તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી. 20 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.

Chapter 24

ઇસહાક રિબકાને લગ્ન કરે છે

1 ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા. 2 તેણે પોતાના ઘરના સર્વસ્વના કારભારી વરિષ્ઠ ચાકરને કહ્યું, "મારી જાંઘ નીચે તારો હાથ મૂક [1] 3 અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ. 4 પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ."

5 ચાકરે તેને કહ્યું, "કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?" 6 ઇબ્રાહિમે તેને કહ્યું, "ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ! 7 આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી [2] બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, 'આ દેશ હું તારા સંતાનને આપીશ,' તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે.

8 તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ." 9 તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા.

10 તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરાઈમ [3] ના નાહોરના શહેરમાં આવ્યો. 11 સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.

12 પછી તેણે પ્રાર્થના કરી, "પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો. 13 હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે. 14 ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, 'કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,' ત્યારે તે મને એમ કહે કે, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,' તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો."

15 તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી. 16 તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.

17 તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ." 18 તેણે કહ્યું, "મારા માલિક, પીઓ," અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.

19 તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, "તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ." 20 પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.

21 ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો. 22 ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી. 23 તેણે તેને પૂછ્યું, "તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?"

24 રિબકાએ તેને કહ્યું, "મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું." 25 વળી તેણે એ પણ કહ્યું, "અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે."

26 પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી, 27 અને કહ્યું, "મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે."

28 પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી. 29 રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો. 30 તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, "તે માણસે મને એમ કહ્યું છે," ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.

31 લાબાને કહ્યું, "તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે." 32 તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.

33 તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, "મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ." તેથી લાબાને કહ્યું, "બોલ." 34 તેણે કહ્યું, "હું ઇબ્રાહિમનો ચાકર છું." 35 ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.

36 મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે. 37 મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, 'જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ. 38 પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.'

39 મેં મારા માલિકને કહ્યું, 'કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?' 40 પણ તેણે મને કહ્યું, 'જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાંઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે. 41 પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.'

42 તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, 'મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય, 43 તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ," 44 અને તે યુવતી મને કહે, "પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ." તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.'

45 હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, 'કૃપા કરીને મને પાણી પીવડાવ.' 46 તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.' મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.

47 મેં તેને પૂછ્યું, 'તું કોની દીકરી છે?' તેણે કહ્યું, 'હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.' પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી, 48 અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.

49 તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું."

50 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, "એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી. 51 હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય."

52 ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી. 53 તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.

54 પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, "મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો." 55 રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, "રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે."

56 પણ તેણે તેઓને કહ્યું, "ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં." 57 તેઓએ કહ્યું, "અમે દીકરીને બોલાવીને તેને પૂછીએ." 58 તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, "શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?" તેણે જવાબ આપ્યો, "હા હું જઈશ."

59 તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા. 60 તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું,

     "અમારી બહેન, તું કરોડોની માતા થજે

         અને તારા વંશજો પોતાના વેરીઓના પ્રવેશદ્વારને કબજે કરો."

61 પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.

62 હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.

63 ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં! 64 રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી. 65 તેણે ચાકરને કહ્યું, "આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?" ચાકરે કહ્યું, "તે મારો માલિક છે." તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.

66 ચાકરે જે કર્યું હતું તે બધું તેણે ઇસહાકને કહી સંભળાવ્યું. 67 પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.


24:2 [1] મારી જાંઘ નીચે તારો હાથ મૂક તે દિવસોમાં યહૂદી લોકો આ રીતે સમ ખાતા હતા
24:7 [2] સંબંધીઓના દેશમાંથી જન્મભૂમિ
24:10 [3] અરામ-નાહરાઈમ મેસોપોતામિયા

Chapter 25

ઇબ્રાહિમના અન્ય વંશજ

1 ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું. 2 કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો. 3 શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા. 4 એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.

5 ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી. 6 પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.

ઇબ્રાહિમનું મરણ અને દફનાવું

7 ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. 8 પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.

9 તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો. 10 હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો. 11 ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.

ઇશ્માએલના વંશજ

12 હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.

13 ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ, 14 મિશમા, દુમા, માસ્સા, 15 હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા. 16 તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.

17 ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો. 18 હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા [1] .

એસાવ અને યાકૂબનો જન્મ

19 ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. 20 ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો. 21 ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ. 22 તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, "મારી સાથે આમ કેમ બન્યું?" તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.

23 ઈશ્વરે તેને કહ્યું, "તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે."

24 જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા. 25 જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ [2] પાડ્યું. 26 ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.

એસાવ પોતાનો જયેષ્ઠપણાનો હક વેચે છે

27 તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો. 28 હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.

29 એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો. 30 એસાવે યાકૂબને કહ્યું, "પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!" તે માટે તેનું નામ અદોમ કહેવાયું.

31 યાકૂબે કહ્યું, "પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ." 32 એસાવે કહ્યું, "જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી." 33 યાકૂબે કહ્યું, "પહેલા તું મારી આગળ સોગન લે." એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. 34 યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.


25:18 [1] તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા તેઓ પૂર્વ પ્રદેશમાં રહેતા હતા
25:25 [2] એસાવ રુંવાટીવાળા, એદોમ: લાલ

Chapter 26

ઇસહાક ગેરારમાં

1 હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.

2 ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "તું મિસરમાં ન જતો; જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે. 3 આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ.

4 હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે. 5 હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે."

6 તેથી ઇસહાક ગેરારમાં રહ્યો. 7 જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "તે મારી બહેન છે." કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી." 8 પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા.

9 અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, "જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, 'તે મારી બહેન છે?'" ઇસહાકે તેને કહ્યું, "મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે." 10 અબીમેલેખે કહ્યું, "તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત." 11 તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, "આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે."

12 ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો. 13 તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો. 14 તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ.

15 તેથી તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા. 16 અબીમેલેખે ઇસહાકને કહ્યું, "તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે." 17 તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો.

18 તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.

19 જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો. 20 "એ પાણી અમારું છે" એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે "એસેક [1] " રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા.

21 પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ "સિટના [2] " એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું. 22 ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ [3] રાખ્યું જેનો અર્થ એ છે કે, 'હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.'

23 પછી ઇસહાક ત્યાંથી બેરશેબા ગયો. 24 તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, "હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ." 25 ઇસહાકે ત્યાં વેદી બાંધી અને ઈશ્વર સાથે વાત કરી. ત્યાં તેણે તેનો તંબુ બાંધ્યો અને તેના દાસોએ એક કૂવો ખોદ્યો.

ઇસહાક અને અબીમેલેખ વચ્ચે સંધિ

26 પછી અબીમેલેખ ગેરારથી તેના મિત્ર અહુઝઝાથ તથા તેના સેનાપતિ ફીકોલ સાથે ઇસહાકની પાસે આવ્યો. 27 ઇસહાકે તેઓને કહ્યું, "તમે મને નફરત કરો છો અને તમારી પાસેથી મને દૂર મોકલી દીધો છે છતાં તમે મારી પાસે કેમ આવ્યા છો?"

28 તેઓએ કહ્યું, "અમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઈશ્વર તારી સાથે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણી વચ્ચે, હા, તારી તથા અમારી વચ્ચે પ્રતિજ્ઞા કરવામાં આવે અને અમે તારી સાથે કરાર કરીએ, 29 જેમ અમે તારું નુકસાન કર્યું નથી, તારી સાથે સારો વ્યવહાર કર્યો છે અને શાંતિથી તને વિદાય કર્યો, તેમ તું અમારું નુકસાન ન કર. નિશ્ચે, તું ઈશ્વરથી આશીર્વાદિત છે."

30 તેથી ઇસહાકે તેઓને સારુ મિજબાની કરી, તેઓ જમ્યા અને દ્રાક્ષાસવ પીધો. 31 તેઓએ વહેલી સવારે ઊઠીને એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. પછી ઇસહાકે તેઓને વિદાય કર્યા અને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.

32 તે જ દિવસે ઇસહાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, "અમને પાણી મળ્યું છે." 33 તેણે કૂવાનું નામ શિબા [4] રાખ્યુ, તેથી આજ સુધી તે નગરનું નામ બેરશેબા છે.

એસાવની હિત્તી પત્નીઓ

34 જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા. 35 પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.


26:20 [1] એસેક ઝઘડાખોર
26:21 [2] સિટના દુશ્મન બનવું
26:22 [3] રહોબોથ મોટી જગ્યા
26:33 [4] શિબા સમ ખાવું

Chapter 27

ઇસહાક યાકૂબને આશીર્વાદ આપે છે

1 જયારે ઇસહાક વૃદ્ધ થયો અને તેની આંખોનું તેજ એટલું બધું ઘટ્યું કે તે નિહાળી શકતો ન હતો. ત્યારે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને કહ્યું, "મારા દીકરા." તેણે તેને કહ્યું, "બોલો પિતાજી." 2 તેણે કહ્યું, "અહીં જો, હું વૃદ્ધ થયો છું. મારા મરણનો દિવસ હું જાણતો નથી.

3 તે માટે તારાં હથિયાર, એટલે તારા બાણનો ભાથો અને તારું ધનુષ્ય લઈને જંગલમાં જા. મારા માટે શિકાર કર. 4 મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું."

5 હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો. 6 ત્યારે રિબકાએ તેના નાના દીકરા યાકૂબને કહ્યું, "જો, તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને મેં વાત કરતા સાંભળ્યા છે. તેમણે કહ્યું, 7 'તું શિકાર લાવીને મારે સારુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, કે હું તે ખાઉં અને હું મરણ પામું તે અગાઉ ઈશ્વરની હજૂરમાં તને આશીર્વાદ આપું.'

8 માટે, મારા દીકરા, હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે મારું કહેવું માન. 9 તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ. 10 તે તું તારા પિતા આગળ લઈ જજે, કે જેથી તે ખાઈને તેમના મરણ અગાઉ તને આશીર્વાદ આપે."

11 યાકૂબે તેની માતા રિબકાને કહ્યું, "મારો ભાઈ એસાવ રુંવાટીવાળો માણસ છે અને હું સુંવાળો છું. 12 કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે?

13 તેની માતાએ તેને કહ્યું, "મારા દીકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન અને જઈને લવારાં લઈ આવ." 14 તેથી યાકૂબ ગયો અને લવારાં લઈને તેની માતાની પાસે આવ્યો; તેની માતાએ તેના પિતાને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું.

15 રિબકાએ તેના જયેષ્ઠ દીકરા એસાવનાં સારાં વસ્ત્ર જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં. 16 તેણે તેના બન્ને હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર લવારાનાં ચર્મ વીંટાળી દીધાં. 17 વળી તેણે તૈયાર કરેલું સ્વાદિષ્ટ ભોજન રોટલી તથા શાક તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યાં.

18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, "મારા પિતા." તેણે કહ્યું, "મારા દીકરા, હું આ રહ્યો, તું કોણ છે?" 19 યાકૂબે તેના પિતાને કહ્યું, "હું એસાવ તમારો જયેષ્ઠ દીકરો છું; તમારું કહ્યા પ્રમાણે મેં કર્યું છે. હવે, બેઠા થઈને મારો શિકાર ખાઓ અને મને આશીર્વાદ આપો."

20 ઇસહાકે તેના દીકરાને કહ્યું, "મારા દીકરા, તને આટલો જલ્દી શિકાર કેવી રીતે મળ્યો?" તેણે કહ્યું, "કેમ કે ઈશ્વર તારા પ્રભુ, તેને મારી પાસે લાવ્યા." 21 ઇસહાકે યાકૂબને કહ્યું, "મારા દીકરા, મારી નજીક આવ જેથી હું તને સ્પર્શ કરું અને જાણું કે તું જ મારો સાચો દીકરો એસાવ છે કે નહિ?

22 યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, "આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે." 23 તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.

24 તેણે કહ્યું, "શું તું નિશ્ચે મારો દીકરો એસાવ જ છે?" અને તેણે કહ્યું, "હા, હું એ જ છું." 25 ઇસહાકે કહ્યું, "એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું." યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.

26 પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, "મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર. 27 યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું,

     "જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.

     28 માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ.

     પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.

     29 લોકો તારી સેવા કરે

     અને દેશજાતિઓ તારી આગળ નમે.

     તું તારા ભાઈઓનો માલિક થા

     અને તારી માતાના દીકરા તારી આગળ નમો.

     જે દરેક તને શાપ આપે, તે શાપિત થાય.

     જે તને આશીર્વાદ આપે, તે આશીર્વાદ પામે."

એસાવ ઇસહાકને આશીર્વાદ માટે વિનવે છે

30 ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો. 31 પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, "મારા પિતા ઊઠીને તારા દીકરાનો શિકાર ખાઓ, કે જેથી તમે મને આશીર્વાદ આપો."

32 તેના પિતા ઇસહાકે તેને કહ્યું, "તું કોણ છે?" તેણે કહ્યું, "હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું." 33 ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, "ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો."

34 જયારે એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો અને પોતાના પિતાને કહ્યું, "મારા પિતા, મને હા મને પણ, આશીર્વાદ આપ." 35 ઇસહાકે કહ્યું, "તારા ભાઈએ કપટ કર્યું છે. તેણે આવીને તારો આશીર્વાદ લઈ લીધો છે."

36 એસાવે તેને કહ્યું, "શું તેનું નામ યાકૂબ [1] ઠીક નથી પાડ્યું? તેણે મને બે વાર છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું. અને જો, હવે તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે." અને તેણે પૂછ્યું, "શું તેં મારા માટે આશીર્વાદ રાખ્યો નથી?" 37 ઇસહાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, "જો, મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યાં છે. અને મેં તેને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ આપ્યાં છે. મારા દીકરા, હું તારે સારુ શું કરું?"

38 એસાવે પોતાના પિતાને કહ્યું, "મારા પિતા, મને આપવા માટે શું તારી પાસે એકપણ આશીર્વાદ બાકી રહ્યો નથી? મારા પિતા, મને, હા મને પણ આશીર્વાદ આપ." અને એસાવ પોક મૂકીને રડ્યો.

39 તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, "જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે. 40 તું તારી તલવારથી જીવશે. તારે તારા ભાઈની સેવા કરવી પડશે. પણ જયારે તું તેની સામે થશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂંસરી ફગાવી દઈ શકશે."

યાકૂબ નાસી જાય છે

41 યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, "મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ." 42 રિબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત જણાવવામાં આવી. તેથી તેણે પોતાના નાના દીકરા યાકૂબને બોલાવડાવ્યો અને તેને કહ્યું, "જો, તારો ભાઈ એસાવ તને મારી નાખે એવું જોખમ તારે માથે છે. તેના મનમાં એવા વિચારો ચાલે છે.

43 માટે હવે, મારા દીકરા, મારી વાત માન અને ઊઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા. 44 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે નહિ ત્યાં સુધી થોડા દિવસ તેની પાસે રહેજે. 45 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે અને તેને તેં જે કર્યું છે તે ભૂલી જાય, ત્યારે હું તને ત્યાંથી બોલાવીશ. શા માટે હું તમને બન્નેને એક જ દિવસે ગુમાવું?"

46 રિબકાએ ઇસહાકને કહ્યું, "હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. હેથની દીકરીઓ જેવી જ પત્ની જો યાકૂબ આ દેશની દીકરીઓમાંથી લાવે, તો મારે જીવવું શા કામનું?"


27:36 [1] યાકૂબ એડીને પકડી રાખનાર, છેતરનાર

Chapter 28

ઇસહાક યાકૂબને લાબાન પાસે મોકલે છે

1 ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ. 2 ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.

3 સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય. 4 ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે."

5 ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.

એસાવે ઇશ્માએલની દીકરીને લગ્ન કરે છે

6 હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ," 7 અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે.

8 એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની કન્યાઓ પસંદ નથી. 9 તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી.

બેથેલમાં યાકૂબને સ્વપ્ન

10 યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. 11 તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.

12 તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા. 13 તેના ઉપર [1] ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, "હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.

14 પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે. 15 જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ."

16 યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, "નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ." 17 તે ગભરાયો અને બોલ્યો, "આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે."

18 યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું. 19 તેણે તે જગ્યાનું નામ બેથેલ [2] પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂઝ હતું.

20 યાકૂબે પ્રતિજ્ઞા કરી કે, "જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલું છું તેમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે, 21 અને મને મારા પિતાના ઘરે સુરક્ષિત લાવશે, તો તેમને હું મારા પ્રભુ, ઈશ્વર માનીશ; 22 અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ."


28:13 [1] ઉપર યાકૂબની બાજુમાં
28:19 [2] બેથેલ ઈશ્વરનું ઘર

Chapter 29

યાકૂબ લાબાનને ઘરે આવી પહોંચે છે

1 પછી યાકૂબ ત્યાંથી આગળ મુસાફરી કરીને પૂર્વના લોકોના દેશમાં આવ્યો. 2 તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો. 3 જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.

4 યાકૂબે તેઓને પૂછ્યું, "મારા ભાઈઓ, તમે ક્યાંના છો?" તેઓએ કહ્યું, "અમે હારાનના છીએ." 5 તેણે તેઓને પૂછ્યું, "શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?" તેઓએ કહ્યું, "હા, અમે તેને ઓળખીએ છીએ." 6 તેણે તેઓને પૂછ્યું, "શું તે ક્ષેમકુશળ છે?" તેઓએ કહ્યું, "તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે."

7 યાકૂબે કહ્યું, "હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો." 8 તેઓએ કહ્યું, "ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે.

9 તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી. 10 યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.

11 યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો. 12 યાકૂબે રાહેલને જણાવ્યું કે, "હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું." એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી.

13 જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી. 14 લાબાને તેને કહ્યું, "વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ." પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો.

યાકૂબ લાબાનની ચાકરી કરે છે

15 પછી લાબાને યાકૂબને કહ્યું, "તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામ કાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?" 16 હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું. 17 લેઆની આંખો નબળી [1] હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી. 18 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો તેથી તેણે કહ્યું, "તારી નાની દીકરી, રાહેલને સારું સાત વર્ષ હું તારી ચાકરી કરીશ.

19 લાબાને કહ્યું, "બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે." 20 યાકૂબે રાહેલને સારુ સાત વર્ષ સુધી લાબાનની સેવા કરી; તે સાત વર્ષ તેને બહુ ઓછા દિવસો જેવા લાગ્યાં, કેમ કે તે રાહેલને પ્રેમ કરતો હતો.

21 પછી યાકૂબે લાબાનને કહ્યું, "હવે મારી પત્ની મને આપ કેમ કે મારી ચાકરીનાં વર્ષોની મુદ્દત પૂરી થઈ છે, જેથી હું તેની સાથે સુખ ભોગવું." 22 તેથી લાબાને ત્યાંના સર્વ માણસોને નિમંત્રિત કરીને મિજબાની કરી.

23 રાત્રે અંધારામાં, લાબાન તેની દીકરી લેઆને યાકૂબની પાસે લાવ્યો અને યાકૂબે તેની સાથે શરીરસુખ માણ્યું. 24 લાબાને તેની દીકરી લેઆને સેવા ચાકરી માટે ઝિલ્પા નામે દાસી પણ આપી. 25 સવારે યાકૂબના જોવામાં આવ્યું કે, તે તો લેઆ હતી! યાકૂબે લાબાનને પૂછ્યું, "આ તેં મને શું કર્યું છે? શું રાહેલને સારુ મેં તારી સેવા ચાકરી કરી નહોતી? તેં મને શા માટે છેતર્યો?"

26 લાબાને કહ્યું, "મોટી દીકરીના લગ્ન અગાઉ નાની દીકરીનું લગ્ન કરવું એવો રિવાજ અમારા દેશમાં નથી. 27 આ દીકરી સાથે નવવધુ તરીકેનું અઠવાડિયું પૂરું કર પછી બીજાં સાત વર્ષ તું મારી ચાકરી કરજે અને તેના બદલામાં અમે રાહેલને પણ તને આપીશું."

28 યાકૂબે તે પ્રમાણે કર્યું અને લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યું. પછી લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી. 29 વળી લાબાને રાહેલની સેવા માટે બિલ્હા નામે દાસી પણ આપી 30 યાકૂબે રાહેલ સાથે પણ લગ્ન કર્યું. તે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ રાખતો હતો. તેથી યાકૂબે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી હતી.

યાકૂબનાં સંતાન

31 ઈશ્વરે જોયું કે લેઆને પ્રેમ કરવામાં આવતો નથી, તે માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ નિ:સંતાન હતી. 32 લેઆ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેનું નામ રુબેન પાડવામાં આવ્યું. કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારું દુઃખ જોયું છે માટે હવે મારો પતિ મને પ્રેમ કરશે."

33 પછી તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હું નાપસંદ છું તે ઈશ્વરે સાંભળ્યું છે, માટે તેમણે આ દીકરો પણ મને આપ્યો છે" તેણે તેનું નામ શિમયોન પાડ્યું. 34 પછી તે ત્રીજીવાર ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હવે આ સમયે મારો પતિ મારી સાથે પ્રેમથી બંધાશે. કેમ કે મેં તેના ત્રણ દીકરાને જન્મ આપ્યો છે." તે માટે તેનું નામ લેવી રાખવામાં આવ્યું.

35 તે ચોથી વખત ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હવે આ સમયે હું ઈશ્વરની સ્તુતિ કરીશ." તેથી તેણે તેનું નામ યહૂદા પાડ્યું. ત્યાર પછી તેને સંતાન જનમવાનું બંધ થયું.


29:17 [1] નબળી કુમળું

Chapter 30

1 જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, "મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ." 2 યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, "ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?"

3 તેણે કહ્યું, "તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું." 4 તેણે પત્ની તરીકે તેની દાસી બિલ્હા યાકૂબને આપી અને યાકૂબે તેની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખ્યો.

5 બિલ્હા ગર્ભવતી થઈ. તેણે યાકૂબના દીકરાને જન્મ આપ્યો. 6 પછી રાહેલે કહ્યું, "ઈશ્વરે મારું સાંભળ્યું છે. તેમણે નિશ્ચે મારી વિનંતી સાંભળીને મને દીકરો આપ્યો છે." તે માટે તેણે તેનું નામ 'દાન' પાડ્યું.

7 રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો. 8 રાહેલે કહ્યું, "મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું." તેણે તેનું નામ 'નફતાલી' પાડ્યું.

9 જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી. 10 લેઆની દાસી ઝિલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો. 11 લેઆએ કહ્યું, "આના પર ઈશ્વરની દયા છે!" તેથી તેણે તેનું નામ 'ગાદ' પાડ્યું.

12 પછી લેઆની દાસી ઝિલ્પાને યાકૂબથી બીજો દીકરો જન્મ્યો. 13 લેઆએ કહ્યું, "હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે." તેથી તેણે તેનું નામ 'આશેર' એટલે આશિષીત પાડ્યું.

14 રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં [1] હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, "તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ." 15 લેઆએ તેને કહ્યું, "તેં મારા પતિને લઈ લીધો છે, એ શું ઓછું છે? તો હવે મારા દીકરાનાં રીંગણાં પણ તારે લેવાં છે?" રાહેલે કહ્યું, "તારા દીકરાનાં રીંગણાં બદલે આજ રાત્રે યાકૂબ તારી સાથે સહશયન કરશે."

16 સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો. લેઆ તેને મળવાને બહાર ગઈ અને કહ્યું, "આજે રાત્રે તારે મારી સાથે સહશયન કરવાનું છે. કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં આ શરત કરી છે." માટે તે રાત્રે યાકૂબ તેની સાથે સૂઈ ગયો. 17 ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો. 18 લેઆએ કહ્યું, "ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી હતી." તેણે તેનું નામ 'ઇસ્સાખાર [2] ' પાડ્યું.

19 લેઆ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના છઠ્ઠા દીકરાને જન્મ આપ્યો. 20 લેઆએ કહ્યું, "ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. "માટે તેણે તેનું નામ ઝબુલોન [3] પાડ્યું. 21 ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો અને તેણીએ તેનું નામ દીના પાડ્યું.

22 ઈશ્વરે રાહેલને યાદ કરીને તેની પ્રાર્થના સાંભળી. તેને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. 23 તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરે મારી શરમ દૂર કરી છે" 24 તેણે તેનું નામ 'યૂસફ' પાડીને કહ્યું, "ઈશ્વર એક બીજો દીકરો પણ મને આપો."

યાકૂબ લાબાન સાથે સોદો કરે છે

25 રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, "મને વિદાય કર, કે જેથી હું મારો દેશ, એટલે મારા પોતાના ઘરે જાઉં. 26 મારી પત્નીઓ તથા મારાં બાળકો જેઓને સારુ મેં તારી સેવા ચાકરી કરી છે, તે મને આપ. મને જવા દે, કેમ કે મેં તારી જે ચાકરી કરી છે, તે તું જાણે છે."

27 લાબાને તેને કહ્યું, "જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે." 28 પછી તેણે કહ્યું, "તારી ઇચ્છા અનુસાર તું જેટલું માંગીશ તેટલું હું તને આપીશ."

29 યાકૂબે તેને કહ્યું, "તું જાણે છે કે મેં તારી કેવી ચાકરી કરી છે અને તારાં જાનવરોમાં કેટલો બધો વધારો થયો છે. 30 હું અહીં આવ્યો તે પહેલાં તારી પાસે થોડું હતું અને હવે તે ઘણું વધી ગયું છે. જ્યાં મેં કામ કર્યું છે ત્યાં ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે. હવે મારા પોતાના ઘર કુટુંબ માટે પણ મારે ઘણું કરવાનું છે. તે હું ક્યારે પૂરું કરીશ?"

31 લાબાને કહ્યું, "તને હું શું વેતન આપું?" યાકૂબે કહ્યું, "તું મને કશું જ ન આપીશ. જો તું મારા માટે આટલું કરે તો હું ફરી તારાં ઘેટાંબકરાંને ચારીશ અને તેમને સંભાળીશ. 32 આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ.

33 જયારે મારા વેતન તરીકે આપેલાં ઘેટાંબકરાં તું તપાસશે ત્યારે પાછળથી મારી પ્રામાણિકતા માટે તેઓ સાક્ષીરૂપ થશે કે બકરાંમાં જે છાંટવાળા કે ટપકાંવાળા નથી અને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે મળે તો તે સર્વ ચોરીનાં ગણાશે." 34 લાબાને કહ્યું, "તારી માંગણી પ્રમાણે હું સંમત છું."

35 તે દિવસે લાબાને પટ્ટાવાળાં તથા ટપકાંવાળાં બકરાં અને છાંટવાળી તથા સફેદ ટપકાંવાળી બધી બકરીઓને અને ઘેટાંઓમાંથી પણ જે કાળાં હતા તેઓને અલગ કર્યા અને એ ઘેટાંબકરાં યાકૂબના દીકરાઓને સુપ્રત કર્યાં. 36 અને ત્રણ દિવસનો પ્રવાસ થાય એટલા અંતર દૂર તેઓને લઈ જવા જણાવ્યું. યાકૂબે લાબાનનાં બાકી રહેલા ઘેટાંબકરાંને ત્યાં જ રહીને સાચવ્યાં.

37 યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ઝાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય. 38 પછી તેણે જાનવરો પાણી પીવા આવે ત્યાં ખાડામાં જે ડાળીઓ છોલી હતી તે તેઓની આગળ ઊભી કરી. જયારે તેઓ પાણી પીતા ત્યારે તેઓ ગર્ભ ધારણ કરવા માટે આશક્ત થતાં હતા.

39 ડાળીઓ આગળ ઘેટાંબકરાં ગર્ભધારણ કરતાં હતાં પછી તેઓએ પટ્ટાદાર, છાંટવાળાં તથા ટપકાંવાળાં બચ્ચાંઓને જન્મ આપ્યો. 40 યાકૂબે ઘેટીને અલગ કરી અને લાબાનનાં જાનવરોમાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ તેઓના મોં રાખ્યાં. પછી તેણે પોતાના ટોળાંને જુદાં પાડ્યાં અને લાબાનનાં ટોળાંની પાસે તેમને રાખ્યાં નહિ.

41 જયારે ટોળાંમાંના સશક્ત પ્રાણી સંવનન કરતાં ત્યારે યાકૂબ તે ડાળીઓ ટોળાંની નજરો આગળ ખાડામાં મૂકતો હતો. 42 પણ ટોળાંમાંના નબળા પશુ આવતાં ત્યારે તે તેઓની આગળ ડાળીઓ મૂકતો નહોતો. તેથી નબળા ઘેટાંબકરાં લાબાનનાં અને સશક્ત યાકૂબનાં થયાં.

43 પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.


30:14 [1] ખૂબ મીઠી સુગંધી ફૂલનો છોડ જેનો ફળ ખાઈને જાતીય ઇચ્છા જાગૃત થાય છે.
30:18 [2] ઇસ્સાખાર બદલો
30:20 [3] ઝબુલોન માન

Chapter 31

યાકૂબ લાબાનને ત્યાંથી નાસી છૂટયો

1 હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, "જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે." 2 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે. 3 પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, "તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.

4 યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં. 5 અને તેઓને કહ્યું, "તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે. 6 તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.

7 તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ." 8 તેણે કહ્યું હતું કે, 'છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,' પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં. 9 એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.

10 એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં. 11 ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, 'યાકૂબ.' મેં કહ્યું, 'હું આ રહ્યો.'

12 તેણે કહ્યું, 'તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે. 13 જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા."

14 રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, "શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે? 15 શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે. 16 કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો."

17 પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં. 18 તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.

19 પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી. 20 યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો. 21 તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.

લાબાન યાકૂબનો પીછો કરે છે

22 ત્રીજે દિવસે લાબાનને કહેવામાં આવ્યું કે યાકૂબ નાસી ગયો છે. 23 તેથી તે તેની સાથે તેના સગાંઓને લઈને સાત દિવસની મુસાફરી જેટલા અંતર સુધી તેની પાછળ પડ્યો. તે ગિલ્યાદ પર્વત પર તેની આગળ નીકળી આવ્યો હતો.

24 હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, "તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે." 25 લાબાન યાકૂબની આગળ પહોંચી ગયો હતો. હવે યાકૂબે પહાડ પર તેનો તંબુ બાંધ્યો હતો. લાબાને પણ તેના સગાંઓ સાથે ગિલ્યાદ પહાડ પર તંબુ બાંધ્યો હતો.

26 લાબાને યાકૂબને કહ્યું, "આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે? 27 શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત. 28 તેં મને મારા પૌત્રોને ચુંબન કરવા દીધું નહિ અને મારી દીકરીઓને 'આવજો' કહેવા પણ ન દીધુ. તેં ભારે મૂર્ખાઈ કરી છે.

29 તને નુકસાન કરવાની તાકાત મારા હાથમાં છે પણ તારા પિતાના ઈશ્વરે ગતરાત્રે મારી સાથે વાત કરતા કહ્યું, 'તું યાકૂબને ખરુંખોટું કહેવા વિષે સાવચેત રહેજે.' 30 અને હવે તારે જવું જોઈએ, કેમ કે તારા પિતાના ઘર માટે તું ઘણો આતુર થયો છે. પણ તેં મારી મૂર્તિઓને કેમ ચોરી લીધી છે?"

31 યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, "હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો. 32 જેણે તારા દેવો ચોર્યા હશે તે જીવતો રહેશે નહિ. મારી પાસે જે કંઈ છે તારું છે. જો મૂર્તિઓ હોય તો તે આપણા સગાઓની હાજરીમાં તું લઈ લે." કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તેઓને ચોરી લીધી હતી.

33 લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો.

34 હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટોના જીન ઉપર તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ. 35 તેણે તેના પિતાને કહ્યું, "મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી." આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ.

36 યાકૂબ ગુસ્સે થયો અને લાબાન સાથે વિવાદ કર્યો. યાકૂબે લાબાનને કહ્યું, "મારો અપરાધ શો છે? મારું પાપ શું છે કે તું આટલી ઉગ્ર રીતે મારી પાછળ પડ્યો છે? 37 કેમ કે તેં મારો સર્વ સામાન તપાસ્યો છે. પણ તારા ઘરનું કશું મળી આવ્યું નથી. જો ચોરેલું કશું પકડાયું હોય તો તે અહીં આપણા સંબંધીઓની આગળ મૂક, કે જેથી તેઓ આપણા બન્નેનો ન્યાય કરે.

38 વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો. 39 ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો. 40 દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.

41 આ વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારુ ચૌદ વર્ષ તથા તારાં જાનવરોને સારુ છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. તેં દસ વાર મારા વેતનનો કરાર ભંગ કર્યો હતો. 42 જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે."

યાકૂબ અને લાબાનની વચ્ચે સંધિ

43 લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, "આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું? 44 તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે."

45 તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો. 46 યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, "પથ્થર એકઠા કરો." તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું. 47 લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા [1] કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.

48 લાબાને કહ્યું, "મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે." તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે. 49 તેનું નામ મિસ્પાહ [2] પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, "જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે. 50 જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે."

51 લાબાને યાકૂબને કહ્યું, "આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો. 52 આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ. 53 ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો." યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા.

54 યાકૂબે પહાડ પર બલિદાન આપ્યું અને ભોજન કરવાને તેના સંબંધીઓને બોલાવ્યા. તેઓએ ભોજન કર્યું અને આખી રાત પહાડ પર વિતાવી. 55 વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.


31:47 [1] યગાર-સાહદૂથા સાક્ષીનો ઢગલો
31:49 [2] મિસ્પાહ ઊંચી જગ્યા, ચોકી રાખવાની બુરજ

Chapter 32

યાકૂબ એસાવને મળવા તૈયારી કરે છે

1 યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા. 2 જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, "આ તો ઈશ્વરની છાવણી છે," તેથી તેણે તે જગ્યાનું નામ 'માહનાઇમ [1] ' પાડ્યું.

3 યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા. 4 તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, "મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: 'આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો. 5 મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે."

6 એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, "અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે. 7 તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી. 8 તેણે કહ્યું, "જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે.

9 યાકૂબે કહ્યું, "પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, 'તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,' 10 તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.

11 કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે. 12 પણ તમે તો કહેલું છે કે, 'નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.'"

13 યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું. 14 એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં, 15 ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં. 16 એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, "તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.

17 તેણે પહેલાને આજ્ઞા આપી, "મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, 'તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?' 18 ત્યારે તું કહેજે, 'તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.'"

19 યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, "જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો. 20 તમે એમ પણ કહેજો, 'તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.''' કેમ કે તેણે વિચાર્યું, "જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે." 21 તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.

પનીએલ મુકામે યાકૂબનું મલ્‍લયુદ્ધ

22 યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા. 23 આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.

24 યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું. 25 જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો. 26 તે માણસે કહ્યું, "સવાર થઈ છે માટે મને જવા દે." યાકૂબે કહ્યું, "તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ."

27 તે માણસે તેને પૂછ્યું, "તારું નામ શું છે?" યાકૂબે કહ્યું, "યાકૂબ." 28 તે માણસે કહ્યું, "હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ [2] કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે."

29 યાકૂબે તેને પૂછ્યું, "કૃપા કરી તું તારું નામ મને કહે." તેણે કહ્યું, "મારું નામ તું શા માટે પૂછે છે?" પછી તેણે તેને આશીર્વાદ આપ્યો. 30 યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ [3] પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે."

31 યાકૂબ પનુએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો. 32 તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.


32:2 [1] માહનાઇમ છાવણી
32:28 [2] ઇઝરાયલ ઈશ્વરથી લડવું
32:30 [3] પનીએલ ઈશ્વરનું મુખ

Chapter 33

યાકૂબ એસાવને મળે છે

1 યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં. 2 પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં. 3 તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.

4 એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા. 5 જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, "તારી સાથે આ કોણ છે?" યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે."

6 પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. 7 પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. 8 એસાવે કહ્યું, "આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?" યાકૂબે કહ્યું, "મારા માલિકની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે."

9 એસાવ બોલ્યો, "મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ." 10 યાકૂબે કહ્યું, "એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે. 11 મારી જે ભેંટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે." યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.

12 પછી એસાવે કહ્યું, "ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ." 13 યાકૂબે તેને કહ્યું, "મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય. 14 માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ."

15 એસાવે કહ્યું, "મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું." પણ યાકૂબે કહ્યું, "શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે." 16 તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો. 17 સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.

18 જયારે યાકૂબ પાદ્દાનારામમાંથી આવ્યો, ત્યારે તે કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો. તેણે શહેરની નજીક મુકામ કર્યો. 19 પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી. 20 ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે ઇઝરાયલ [1] પાડ્યું.


33:20 [1] એલ-એલોહે-ઇઝરાયલ ઇઝરાયલનો ઈશ્વર, સામર્થ્ય ઈશ્વર

Chapter 34

દીના અને શેખેમ વાસીઓ

1 હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ. 2 હમોર હિવ્વી જે દેશનો હાકેમ હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો. 3 યાકૂબની દીકરી દીના પર તેનું દિલ મોહી પડ્યું. તેણે તે જુવાન દીના પર પ્રેમ કર્યો અને તેણે તેની સાથે વાત કરી.

4 શખેમે પોતાના પિતા હમોરને કહ્યું, "આ યુવાન કન્યા સાથે મારું લગ્ન કરાવી આપ." 5 હવે યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની સાથે તેણે બળાત્કાર કર્યો છે. તેના દીકરા ખેતરમાં જાનવરોની પાસે હતા, તેથી તેઓ આવ્યા ત્યાં સુધી યાકૂબ ચૂપ રહ્યો.

6 શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે બહાર ગયો. 7 જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.

8 હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, "મારો દીકરો શખેમ તમારી દીકરીને પ્રેમ કરે છે. કૃપા કરી તેને તેની સાથે લગ્ન કરાવી આપો. 9 આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે પોતાને માટે લો. 10 તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો.

11 શખેમે તેના પિતા તથા ભાઈઓને કહ્યું, "મહેરબાની કરીને મારી પર કૃપા દર્શાવો, તો તમે મને જે કહેશો તે હું આપીશ. 12 તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો." 13 તેઓની બહેન દીના પર તેણે બળાત્કાર કર્યો હતો, માટે યાકૂબના દીકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો.

14 તેઓએ તેઓને કહ્યું, "જે માણસની સુન્નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી શકતા નથી, કેમ કે તેથી અમારી બદનામી થાય. 15 કેવળ આ શરતે અમે તમારું માનીએ કે: જેમ અમે સુન્નત પામેલા છીએ, તેમ તમારાં સર્વ પુરુષોની સુન્નત કરાય. 16 પછી અમે અમારી દીકરીઓનાં લગ્ન તમારી સાથે કરાવીએ, તમારી દીકરીઓ સાથે અમે લગ્ન કરીએ અને તમારી સાથે રહીએ. આપણે પરસ્પર એકતામાં આવીએ. 17 પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી બહેનને લઈને ચાલ્યા જઈશું."

18 તેઓની વાત હમોર તથા તેના દીકરા શખેમને સારી લાગી. 19 તે જુવાન માણસે તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી માટે આશક્ત થયેલો હતો. તે પોતાના પિતાના ઘરમાં સર્વ કરતાં માનવંત માણસ હતો.

20 હમોર તથા તેનો દીકરો શખેમ પોતાના નગરના દરવાજે આવ્યા અને પોતાના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું, 21 "આ માણસો આપણી સાથે શાંતિથી રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો; અને તેમાં વેપાર કરવા દો કેમ કે નિશ્ચે, આ દેશ તેઓ માટે પૂરતો છે. આપણે તેઓની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને તેઓ આપણી દીકરીઓ સાથે લગ્ન કરે.

22 તેથી જેમ તેઓમાંના દરેક પુરુષની સુન્નત કરવામાં આવે છે, તેમ આપણા પણ દરેક પુરુષની સુન્નત કરવામાં આવે, કેવળ આ એક શરતે તેઓ આપણી સાથે રહેવા અને એકતામાં જોડાવાને સંમત થશે. 23 તેઓના ટોળાં, તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થશે? તેથી આપણે તેઓની વાત માનીએ. તેઓ આપણી મધ્યે રહેશે."

24 શહેરના સર્વ પુરુષોએ હમોર તથા તેના દીકરા શખેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી. 25 ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તલવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા. 26 તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તલવારની ધારથી માર્યા અને શખેમના ઘરેથી દીનાને લઈને ચાલ્યા ગયા.

27 યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી. 28 તેઓએ તેઓનાં ઘેટાંબકરાં, ગધેડાં અને અન્ય જાનવરો તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે સર્વ તેઓની સંપત્તિ સહિત લૂંટી લીધું. 29 તેઓનાં સર્વ બાળકો તથા તેઓની પત્નીઓને તેઓએ કબજે કરી. વળી તેઓએ તેઓના ઘરોમાં જે હતું તે બધું પણ લઈ લીધું.

30 યાકૂબે શિમયોનને તથા લેવીને કહ્યું, "તમે મારા પર મુશ્કેલી લાવ્યા છો, આ દેશના રહેવાસીઓ એટલે કનાનીઓ તથા પરિઝીઓમાં તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. સંખ્યામાં મારા માણસો થોડા છે. જો તેઓ મારી વિરુદ્ધ એકઠા થઈને હુમલો કરે તો પછી મારો અને મારા પરિવારનો નાશ થશે." 31 પણ શિમયોન તથા લેવીએ કહ્યું, "શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?"

Chapter 35

યાકૂબ બેથેલમાં પાછા ફર્યો

1 ઈશ્વરે યાકૂબને કહ્યું, "હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ." 2 પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, "તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો. 3 પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે."

4 તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં. 5 જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.

6 યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં. 7 તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ બેથેલ [1] પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું. 8 રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ [2] રાખવામાં આવ્યું.

9 જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો. 10 ઈશ્વરે તેને કહ્યું, "તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે." તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું.

11 ઈશ્વરે તેને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે. 12 મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ." 13 જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.

14 જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું. 15 જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું.

રાહેલ અને ઇસહાકની મૃત્યુ

16 તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો. 17 જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, "બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે." 18 જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની [3] પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન [4] પાડ્યું. 19 રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી. 20 યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે. 21 ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને મિગ્દાલ એદેરના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો. 22 જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી.

યાકૂબના બાર દીકરા હતા. 23 લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન. 24 રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન. 25 રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.

26 લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા. 27 મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.

28 ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું. 29 ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.


35:7 [1] એલ-બેથેલ બેથેલ નો ઈશ્વર
35:8 [2] એલોન-બાખૂથ રડતો એલોન
35:18 [3] બેનોની દુઃખનો દીકરો
35:18 [4] બિન્યામીન જમણી હાથનો દીકરો

Chapter 36

એસાવની વંશાવળી

1 એસાવ એટલે અદોમની વંશાવળી આ છે. 2 એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી, 3 અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.

4 આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો. 5 ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.

6 એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો. 7 તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો. 8 તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.

9 સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે. 10 એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ. 11 તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા. 12 એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.

13 રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા. 14 સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.

15 એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ, 16 કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.

17 એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા. 18 એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા. 19 એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.

20 સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના, 21 દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા. 22 લોટાનના દીકરા હોરી તથા હેમાન હતા. તિમ્ના લોટાનની બહેન હતી.

23 શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ. 24 સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા [1] મળ્યા હતા તે એ છે.

25 અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ. 26 દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન. 27 એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન. 28 દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન. 29 હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના. 30 દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.

અદોમના શાસકો

31 ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે: 32 બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું. 33 જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ઝેરાનો દીકરો યોબાબ રાજા થયો.

34 જયારે યોબાબ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાન દેશના હુશામે રાજ કર્યું. 35 જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. 36 જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું. 37 જયારે સામ્લા મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ નદી પાસેના રહોબોથના શાઉલે રાજ કર્યું. 38 જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું. 39 જયારે આખ્બોરનો દીકરો બાલ-હનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે માટ્રેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.

40 એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ, 41 ઓહોલીબામાહ, એલા, પીનોન, 42 કનાઝ, તેમાન, મિબ્સાર, 43 માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.


36:24 [1] ગરમ પાણીનાં ઝરા જંગલી ગધેડો

Chapter 37

યૂસફના સપના

1 યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો. 2 યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.

3 હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો. 4 તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.

5 યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા. 6 તેણે તેઓને કહ્યું, "મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો."

7 આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી." 8 તેના ભાઈઓએ તેને કહ્યું, "શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે?" તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.

9 તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, "જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં." 10 જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, "જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?" 11 તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.

યૂસફ તેના ભાઈઓ દ્વારા વેચી દેવાયો

12 તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા. 13 ઇઝરાયલે યૂસફને કહ્યું, "શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું." યૂસફે તેને કહ્યું, "હું તૈયાર છું." 14 તેણે તેને કહ્યું, "હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ." પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.

15 જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, "તું કોને શોધે છે?" 16 યૂસફે કહ્યું, "હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?" 17 તે માણસે કહ્યું, "તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, "ચાલો આપણે દોથાન જઈએ." યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.

18 તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો. 19 તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, "જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે. 20 હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, 'કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.' પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું."

21 રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, "આપણે તેનો જીવ લેવો નથી." 22 તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, "તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ."

23 યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો. 24 તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું.

25 પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા. 26 યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, "જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે?

27 ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે." તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું. 28 મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં [1] યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

29 રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો. 30 તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, "યુસફ ક્યાં છે? અને હું ક્યાં જાઉં?"

31 પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો. 32 પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, "આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?" 33 યાકૂબે તે ઓળખીને કહ્યું, "તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે."

34 યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો. 35 તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, "હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ." તેનો પિતા તેને સારુ રડ્યો. 36 પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.


37:28 [1] વીસ ચાંદીના સિક્કામાં ૨૩૦ ગ્રામ ચાંદી - જે એક જુવાન ગુલામ માટે આપવામાં આવતો હતો

Chapter 38

યહૂદા અને તામાર

1 તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો. 2 ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો.

3 શૂઆ સગર્ભા થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ એર પાડ્યું. 4 તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું. 5 તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

6 યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું. 7 યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો.

8 યહૂદાએ ઓનાનને કહ્યું, "તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ." 9 ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો. 10 તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો.

11 પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, "મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે." કેમ કે તેણે વિચાર્યું કે, "કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે." પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.

12 ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો. 13 તામારને ખબર મળી, "જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે." 14 તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.

15 જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું. 16 તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, "ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે." કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, "મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?

17 તેણે કહ્યું, "ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું." તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું? 18 તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, "તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી." તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.

19 તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા. 20 તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.

21 પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, "જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?" તેઓએ કહ્યું, "અહીં તો કોઈ ગણિકા નથી." 22 તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, "મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, 'અહીં કોઈ ગણિકા ન હતી.'" 23 યહૂદાએ કહ્યું, "તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ."

24 પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, "તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે." યહૂદાએ કહ્યું, "તેને અહીં લાવો અને સળગાવી દો." 25 જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, "આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું" તેણે કહ્યું, "આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે." 26 યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, "તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.

27 તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં. 28 જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, "આનો જન્મ પ્રથમ થયો છે."

29 પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ [1] પાડ્યું. 30 પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરાહ [2] પડ્યું.


38:29 [1] પેરેસ ફાટી નીકળવું
38:30 [2] ઝેરા લાલ ચમકતો

Chapter 39

યૂસફ અને પોટીફારની પત્ની

1 યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો. 2 ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.

3 તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે. 4 તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.

5 તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો. 6 પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો.

7 પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, "મારી સાથે સૂઈ જા." 8 પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, "જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે. 9 આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?"

10 દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો. 11 એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું. 12 ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, "મારી સાથે સૂઈ જા." પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.

13 જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે, 14 ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, "જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી. 15 અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો."

16 તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું. 17 તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, "આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો. 18 પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો."

યૂસફ કેદખાનામાં

19 જયારે તેના માલિકે તેની પત્નીની કહેલી વાત સાંભળી કે, "તારા દાસે મને આમ કર્યું," ત્યારે તે ઘણો ગુસ્સે થયો. 20 તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો.

21 પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી. 22 જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો. 23 તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.

Chapter 40

પાત્રવાહક અને ભઠિયારાનાં સ્વપ્ન

1 એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો. 2 ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો. 3 જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.

4 અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા. 5 અને મિસરના રાજાનો પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.

6 યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા. 7 ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, "તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?" 8 તેઓએ તેને કહ્યું, "અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી." યૂસફે તેઓને કહ્યું, "અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!"

9 મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, "જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો. 10 તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી. 11 ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો."

12 યૂસફે તેને કહ્યું, "એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે. 13 ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.

14 પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે. 15 કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી."

16 જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, "મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી. 17 ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં."

18 યૂસફે ઉત્તર આપીને કહ્યું, "એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે. 19 ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે."

20 ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું. 21 તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો. 22 યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી. 23 પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.

Chapter 41

ફરુનના સ્વપ્નો

1 બે વર્ષ પછી ફારુનને સ્વપ્ન આવ્યું. તેમાં તે નીલ નદીની પાસે ઊભો હતો. 2 ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી. 3 અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.

4 પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ. 5 પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં. 6 તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.

7 અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું. 8 સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.

9 એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, "આજે મને મારો અપરાધ યાદ આવે છે. 10 જયારે ફારુનને પોતાના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા, 11 ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં. 12 ત્યાં એક હિબ્રૂ જુવાન જે અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો, તે અમારી સાથે કેદમાં હતો. અમે તેને અમારા સ્વપ્નો જણાવ્યાં અને તેણે અમારા સ્વપ્નના અર્થ કહી બતાવ્યા હતા. તેણે અમને બન્નેને અમારા સ્વપ્ન પ્રમાણે ખુલાસા કરી બતાવ્યાં હતા. 13 તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી."

14 ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો. 15 ફારુને યૂસફને કહ્યું, "મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે." 16 યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, "હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે."

17 ફારુને યૂસફને કહ્યું, "હું મારા સ્વપ્નમાં નીલ નદીને કિનારે ઊભો હતો. 18 ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.

19 તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી. 20 તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ. 21 જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.

22 ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં, 23 અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં. 24 સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે."

25 યૂસફે ફારુનને કહ્યું, "આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે. 26 જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.

27 તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે. 28 જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે. 29 જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.

30 પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે. 31 તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે. 32 ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.

33 હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ. 34 વળી ફારુને આમ કરવું: મિસર દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.

35 જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે. 36 પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય.

યૂસફને મિસર દેશનો અધિકારી બનાવ્યો

37 આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. 38 ફારુને પોતાના દાસોને કહ્યું, "જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?"

39 તેથી ફારુને યૂસફને કહ્યું, "ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી. 40 તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ." 41 ફારુને યૂસફને કહ્યું, "આજથી હું તને આખા મિસર દેશના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરું છું."

42 ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો. 43 તેને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને લોકો તેની આગળ "ઘૂંટણ ટેકવો" એમ પોકારો પાડતા. ફારુને તેને આખા મિસર દેશનો ઉપરી નિયુક્ત કર્યો.

44 ફારુને યૂસફને કહ્યું, "હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે." 45 ફારુને યૂસફનું નામ "સાફનાથ-પાનેઆ" પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.

46 યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી. 47 પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું.

48 મિસર દેશમાં એ સાત વર્ષ દરમિયાન ઉપજેલું સઘળું અનાજ તેણે એકઠું કર્યું. તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભેગું કર્યું. 49 યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.

50 દુકાળનાં વર્ષો આવ્યાં તે અગાઉ યૂસફને બે દીકરા થયા, જે આસનાથ, ઓનના યાજક પોટીફારની દીકરીથી જન્મ્યા. 51 યૂસફે પોતાના જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શા [1] પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે." 52 બીજા દીકરાનું નામ તેણે એફ્રાઇમ [2] પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "મારા દુઃખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે."

53 મિસર દેશમાં ભરપૂરીપણાનાં જે સાત વર્ષ આવ્યાં હતાં તે વિતી ગયાં. 54 યૂસફના કહ્યા પ્રમાણે, દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. દુકાળ સર્વ દેશોમાં વ્યાપેલો હતો, પણ આખા મિસર દેશમાં અન્નના ભંડાર ભરેલા હતા.

55 જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, "યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો." 56 પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો. 57 સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.


41:51 [1] મનાશ્શા સર્વ કષ્ટ ભૂલી જવું
41:52 [2] એફ્રાઇમ બે વખત ફળદ્રુપ થવું

Chapter 42

યૂસફના ભાઈઓ મિસરમાં જાય છે

1 હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, "તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?" 2 મારા સાંભળવામાં આવ્યું છે કે, "મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ." 3 યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા. 4 પણ તેઓની સાથે યૂસફના ભાઈ બિન્યામીનને યાકૂબે મોકલ્યો નહિ, કેમ કે તેણે કહ્યું, "કદાચને તેના પર કંઈ વિઘ્ન આવી પડે."

5 બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો. 6 અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

7 યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, "તમે ક્યાંથી આવ્યા છો?" તેઓએ કહ્યું, "અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ. 8 યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.

9 યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, "તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો." 10 તેઓએ તેને કહ્યું, "ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે. 11 અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી."

12 પણ યૂસફે તેઓને કહ્યું, "ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો." 13 તેઓ બોલ્યા, "અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી."

14 યૂસફે તેઓને કહ્યું, "જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે. 15 તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ. 16 તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો." 17 તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.

18 ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, "તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું. 19 જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ. 20 તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ." તેથી તેઓએ એમ જ કર્યું.

21 તેઓએ એકબીજાને કહ્યું, "નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે." 22 રુબેને તેઓને ઉત્તર આપ્યો, "શું મેં તમને કહ્યું ન હતું, 'આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?' પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે."

23 તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી. 24 યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.

યૂસફના ભાઈઓ કનાન પાછા આવ્યા

25 પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.

26 તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા. 27 રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં. 28 તેણે તેના ભાઈઓને કહ્યું, "મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં." તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, "ઈશ્વરે આપણને આ શું કર્યું છે?"

29 તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું, 30 "જે માણસ તે દેશનો માલિક છે તે અમારી સાથે કઠોરતાથી વર્ત્યો અને અમને દેશના જાસૂસ ગણ્યા. 31 અમે તેને કહ્યું, 'અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી. 32 અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે.'

33 તે માણસે એટલે દેશના માલિકે અમને કહ્યું, 'તમે પ્રામાણિક માણસો છો એની ખાતરી માટે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો. તમે તમારા ભૂખે મરતા કુટુંબને માટે અનાજ લઈને જાઓ. 34 તમે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો. તેથી હું જાણીશ કે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છો. પછી હું તમારા ભાઈને મુક્ત કરીને તમને પાછો આપીશ અને તમને આ દેશમાં વેપાર કરવા દઈશ એટલે શિમયોનને ત્યાં રહેવા દેવો પડ્યો છે.'"

35 તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા. 36 તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, "ઓ મારા દીકરાઓ, તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ રહ્યો નથી, શિમયોન મિસરમાં છે અને તમે બિન્યામીનને લઈ જવા બધું જ મારી વિરુદ્ધ થાય છે."

37 રુબેને તેના પિતાને કહ્યું, "જો હું બિન્યામીનને તારી પાસે પાછો ન લાવું તો તું મારા બે દીકરાને મારી નાખજે. તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ." 38 યાકૂબે કહ્યું, "મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો."

Chapter 43

મિસરની બીજી મુસાફરી

1 કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો. 2 તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, "તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો."

3 યહૂદાએ તેને કહ્યું, "તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, 'જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.' 4 જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે. 5 પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, 'તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.'"

6 ઇઝરાયલે કહ્યું, "અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?" 7 તેઓએ કહ્યું, "આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, 'શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?' અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, 'તમારા ભાઈને અહીં લાવો?'"

8 યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, "અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ. 9 હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે. 10 કેમ કે જો આપણે વિલંબ કર્યો ન હોત, તો ચોક્કસ અમે અત્યાર સુધીમાં બીજીવાર જઈને પાછા આવ્યા હોત."

11 ઇઝરાયલે તેઓને કહ્યું, "હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની ઔષધ, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ. 12 તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.

13 તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ. 14 સર્વસમર્થ ઈશ્વર તમને તે માણસ દ્વારા કૃપા દર્શાવે કે જેથી તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મુક્ત કરે. જો મારે મારા દીકરાથી વંચિત થવાનું થાય તો તે સહન કરવું જ પડશે. 15 તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા.

16 જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, "આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે." 17 જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો.

18 તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, "આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો." 19 તેઓ યૂસફના ઘરના કારભારી પાસે ગયા, ઘરના દરવાજા આગળ તેઓએ વાતચીત કરતાં તેને કહ્યું, 20 "ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.

21 ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ. 22 તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી." 23 કારભારીએ કહ્યું, "તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા." ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો.

24 પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો. 25 તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી.

26 જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં. 27 યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, "જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?"

28 તેઓએ કહ્યું, "તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે." ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં. 29 યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, "શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું?" તેણે પૂછ્યું, "મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ."

30 યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો. 31 તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, "ચાલો, આપણે જમીએ."

32 દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે. 33 યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા. 34 યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.

Chapter 44

યૂસફનું ચાંદીનો પ્યાલું

1 યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, "આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો. 2 મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો." યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.

3 સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા. 4 તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, "ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, 'તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે? 5 મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.'"

6 કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા. 7 તેઓએ તેને કહ્યું, "શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!

8 અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ? 9 હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું." 10 કારભારીએ કહ્યું, "હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો."

11 પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી. 12 કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો. 13 તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.

14 યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું. 15 યૂસફે તેઓને કહ્યું, "તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?"

16 યહૂદા બોલ્યો, "અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ." 17 યૂસફે કહ્યું, "એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ."

યહૂદા બિન્યામીન માટે વિનંતી કરે છે

18 પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, "ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ. 19 જયારે મારા ઘણીએ અમોને પૂછ્યું હતું કે, "શું તમારે પિતા અથવા ભાઈ છે?'

20 અમે અમારા ઘણીને કહ્યું હતું કે, 'અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.' 21 પછી તેં તારા ચાકરોને કહ્યું, 'તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.' 22 અને અમે અમારા ઘણીને કહ્યું, 'તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.'

23 અને તેં અમને કહ્યું, 'જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.' 24 પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા. 25 પછી અમારા પિતાએ કહ્યું, 'ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.' 26 પણ અમે કહ્યું, 'અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.'

27 એટલે અમારા પિતાએ અમને કહ્યું, 'તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો. 28 તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, "ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી." 29 પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.'

30 તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય, 31 અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે. 32 કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, 'જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.'

33 હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે. 34 કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ."

Chapter 45

યૂસફ પોતાની ઓળખ આપે છે

1 પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, "દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય." તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ. 2 પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું. 3 યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, "હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે?" તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા.

4 પછી યૂસફે ભાઈઓને કહ્યું, "કૃપા કરી મારી પાસે આવો." તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, "હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો. 5 પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે. 6 કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.

7 પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે. 8 તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો પ્રભુ તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે.

9 તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, 'તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ. 10 ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો. 11 તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.'

12 ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે. 13 મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો."

14 પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો. 15 તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.

16 ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, "યૂસફના ભાઈઓ આવ્યા છે." ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી. 17 ફારુને યૂસફને કહ્યું, "તું તારા ભાઈઓને કહે, 'તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ. 18 પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.'

19 હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, 'આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો. 20 તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે.'"

21 ઇઝરાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી. 22 તેઓમાંના દરેકને યૂસફે એક જોડી વસ્ત્રો આપ્યાં, પણ બિન્યામીનને તેણે ત્રણસો ચાંદીના સિક્કા અને પાંચ જોડ વસ્ત્રો આપ્યાં. 23 તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.

24 આ રીતે તેણે તેના ભાઈઓને વિદાય કર્યાં અને તેઓના જતા અગાઉ તેણે તેઓને કહ્યું, "જુઓ, માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ." 25 તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેના પિતા યાકૂબની પાસે આવ્યા. 26 તેઓએ તેને કહ્યું, "યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે." તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.

27 પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો. 28 ઇઝરાયલે કહ્યું, "આટલું પૂરતું છે. મારો દીકરો યૂસફ હજુ જીવે છે. મારા મૃત્યુ પહેલા હું મિસરમાં જઈશ અને તેને જોઈશ."

Chapter 46

યાકૂબ મિસરમાં જાય છે

1 ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેરશેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં. 2 ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં સંદર્શન આપીને કહ્યું, "યાકૂબ, યાકૂબ." તેણે કહ્યું, "હું અહીં છું." 3 તેમણે કહ્યું, "હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ. 4 હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે."

5 યાકૂબ બેરશેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં. 6 તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા. 7 તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.

8 જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન; 9 રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી; 10 શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ; 11 લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી;

12 યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા; 13 ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન; 14 ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ. 15 યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.

16 ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી; 17 આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ. 18 લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;

19 યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન; 20 યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો; 21 બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ. 22 તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;

23 દાન તથા તેનો દીકરો હુશીમ; 24 નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ. 25 લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.

26 યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં. 27 યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.

યૂસફ કુટુંબસહ મિસરમાં આવ્યો

28 યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા. 29 યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો. 30 ઇઝરાયલે યૂસફને કહ્યું, "મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે."

31 યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, "હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, 'મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે. 32 તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.'

33 અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?' 34 ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, 'તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.' આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે."

Chapter 47

1 પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, "મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે." 2 તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.

3 ફારુને તેના ભાઈઓને પૂછ્યું, "તમારો વ્યવસાય શો છે?" અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ. 4 પછી તેઓએ ફારુનને કહ્યું, "અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે."

5 પછી ફારુને યૂસફને કહ્યું, "તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે. 6 આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ."

7 પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. 8 ફારુને યાકૂબને કહ્યું, "તમારી ઉંમર કેટલી થઈ છે?" 9 યાકૂબે ફારુનને કહ્યું, "મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી." 10 પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.

11 યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો. 12 યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.

દુકાળ

13 હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા. 14 લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.

15 જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, "અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી." 16 યૂસફે કહ્યું, "જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ." 17 તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું.

18 જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, "નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી. 19 તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે."

20 તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ. 21 તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા. 22 ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.

23 પછી યૂસફે લોકોને કહ્યું, "જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો. 24 તેમાંથી જે ઊપજ થાય તેનો પાંચમો ભાગ ફારુનને આપજો અને બાકીના ચાર ભાગ ખેતરના બીજ માટે, તમારા પોતાના, તમારાં ઘરનાં તથા તમારાં છોકરાંનાં ખોરાકને માટે તમે રાખજો."

25 તેઓએ કહ્યું, "તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું." 26 મિસર દેશમાં યૂસફે એવો કાનૂન બનાવ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે અને એ કાનૂન આજ સુધી ચાલે છે. ફક્ત યાજકોની જમીન ફારુનના તાબામાં ન આવી.

યાકૂબની આખરી વિનંતી

27 ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા. 28 યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.

29 જયારે ઇઝરાયલના મરણનો સમય પાસે આવ્યો, ત્યારે તેણે તેના દીકરા યૂસફને બોલાવીને કહ્યું, "હવે જો તને મારા પર વહાલ હોય તો મને વચન આપ. તું ખરા હૃદયથી મારી સાથે વર્તજે અને મહેરબાની કરીને મૃત્યુ પછી મને મિસરમાં દફનાવીશ નહિ. 30 જયારે મારું મરણ થાય ત્યારે તું મને મિસરમાંથી કનાન લઈ જજે અને મારા પિતૃઓની સાથે તેઓના કબરસ્થાનમાં દફનાવજે." યૂસફે કહ્યું, "હું તારા કહ્યા પ્રમાણે કરીશ." 31 ઇઝરાયલ બોલ્યો, "મારી આગળ પ્રતિજ્ઞા લે," યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.

Chapter 48

યાકૂબ મનાશ્શા અને એફ્રાઇમને આશીર્વાદ આપે છે

1 એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, "જો, તારો પિતા બીમાર પડ્યો છે." તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો. 2 યાકૂબને કોઈએ ખબર આપી, "જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે," ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.

3 યાકૂબે યૂસફને કહ્યું, "કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને, 4 કહ્યું હતું, 'ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.'

5 હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે. 6 તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે. 7 જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી."

8 ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, "આ કોણ છે?" 9 યૂસફે તેના પિતાને કહ્યું, "તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે." ઇઝરાયલે કહ્યું, "તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું." 10 હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.

11 ઇઝરાયલે યૂસફને કહ્યું, "મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે." 12 યૂસફે તેઓને ઇઝરાયલ પાસેથી થોડા દૂર કર્યા અને પોતે જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા. 13 પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો.

14 ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો. 15 ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપીને કહ્યું, "જે ઈશ્વરની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને આજ સુધી સંભાળ્યો અને 16 દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ."

17 જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો, 18 યૂસફે પિતાને કહ્યું, "મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક."

19 તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, "હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે." 20 ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, "ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, 'ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.'" આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.

21 ઇઝરાયલે યૂસફને કહ્યું, "હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે. 22 મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો."

Chapter 49

યાકૂબના છેલ્‍લા શબ્દો

1 યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, "તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.

     2 "યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.

         3 રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે,

     ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.

     4 તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ,

     તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.

         5 શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તલવારો છે.

     6 તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે.

     તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે.

     ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.

     7 તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.

         8 યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.

     તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે.

     તારા ભાઈના પુત્રો તને નમન કરશે.

     9 યહૂદા એક મોટું સિંહનું [1] બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે.

     તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે.

     તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?

     10 જ્યાં સુધી શીલો આવશે નહિ [2] ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ,

     લોકો તેની આધીનતામાં રહેશે.

     11 તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે,

     અને તેના ગધેડાને શ્રેષ્ઠ દ્રાક્ષવેલાઓમાં બાંધ્યા છે.

     તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે

     અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.

     12 દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ

     અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.

         13 ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે.

     તે વહાણોને સારુ બંદરરૂપ થશે

     અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.

         14 ઇસ્સાખાર બળવાન ગધેડો,

     બે ઘેટાંવાડાઓના [3] વચ્ચે સૂતેલો છે.

     15 તેણે સારી આરામદાયક જગ્યા અને

     અને સુખપ્રદ પ્રદેશ જોયો છે.

     તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે;

     અને તે વૈતરું કરનારો ગુલામ થશે.

         16 ઇઝરાયલનાં અન્ય કુળોની માફક,

     દાન તેના લોકોનો ન્યાય કરશે.

     17 દાન માર્ગની બાજુમાંના સાપ જેવો,

     અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે,

     તે ઘોડાની એડીને એવો ડંખ મારશે,

     કે તેનો સવાર લથડી પડશે.

     18 હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.

         19 ગાદ પર હુમલાખોરો હુમલો કરશે,

     પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.

     20 આશેરનું અન્ન પુષ્ટિકારક થશે;

     અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.

     21 નફતાલી છૂટી મૂકેલી હરણી છે,

     તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.

         22 યૂસફ ફળદ્રુપ ડાળી છે;

     તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે,

     આ ડાળી દીવાલ પર વિકસે છે.

     23 ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા,

     અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો

     અને તેને સતાવ્યો.

     24 પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે,

     પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા.

     અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.

     25 તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી,

     એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી

     તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી,

     જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.

     26 તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો [4] કરતાં અતિ વિશેષ થયેલા છે,

     તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે;

     તેઓ યૂસફના શિર પર રહેશે,

     આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.

     27 બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે:

     સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે."

28 એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં. 29 પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, "હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે, 30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.

31 ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે. 32 એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં." 33 જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.


49:9 [1] સિંહનું સિંહણ
49:10 [2] જ્યાં સુધી શીલો આવશે નહિ જ્યાં સુધી અધિકારમાં આવશે નહિ
49:14 [3] ઘેટાંવાડાઓના જીનની થેલીઓ
49:26 [4] પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો તારા પિતાના આશીર્વાદ મારા અનંત પર્વત કરતા વિશેષ છે

Chapter 50

1 પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું. 2 યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી. 3 સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.

4 જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, "તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો, 5 'મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, "હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો." તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.'" 6 ફારુને જવાબ આપ્યો, "તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા."

7 યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા. 8 યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં. 9 તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.

10 જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો. 11 આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, "મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે." તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ [1] કહેવાય છે, જે યર્દન પાર છે.

12 પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું. 13 તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું. 14 તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.

યૂસફે પોતાના ભાઈઓને આપેલી ખાતરી

15 પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, "જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?" 16 તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, "તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું, 17 'તમે આ પ્રમાણે યૂસફને કહેજો, "તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે."' જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો.

18 તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, "જો, અમે તારા દાસો છીએ." 19 પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, "બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું? 20 તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું. 21 તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ." એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી.

યૂસફનું મૃત્યુ

22 યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો. 23 યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઇમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા.

24 જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, "હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે." 25 પછી યૂસફે ઇઝરાયલપુત્રોને પ્રતિજ્ઞા લેવડાવીને કહ્યું, "ઈશ્વર તમારી પાસે નિશ્ચે આવશે; તમે અહીંથી જાઓ તે સમયે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો." 26 યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.


50:11 [1] આબેલ-મિસરાઈમ મિસરીઓના મોટો શોક