ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

અયૂબ

લેખક

અયૂબનું પુસ્તક કોણે લખ્યું તે ખરેખર કોઈ જાણતું નથી. લેખકની ઓળખ આપવામાં આવી નથી. સંભવિત છે કે તેના એક કરતાં વધારે લેખકો હતા. એ પણ શક્ય છે કે અયૂબનું પુસ્તક બાઇબલનું સૌથી જૂનું પુસ્તક છે. અયૂબ એક સારો અને પવિત્ર માણસ હતો કે જેણે અસહ્ય દુઃખો સહન કર્યા અને તેણે તથા તેના મિત્રોએ અયૂબ પર આવી આપત્તિઓ કેમ આવી હશે તે સમજવા પ્રયાસ કર્યો હતો. આ પુસ્તકનાં ચાવીરૂપ પાત્રોમાં અયૂબ, અલીફાઝ તેમાની, બિલ્દાદ શૂહી, સોફાર નામઆથી અને અલીહૂ બૂઝીનો સમાવેશ થાય છે.

લખાણનો સમય અને સ્થળ

અજ્ઞાત મોટા ભાગનું પુસ્તક એવા ચિહ્નો પ્રદર્શિત કરે છે કે તે ઘણા સમય બાદ એટલે કે દેશનિકાલના સમયે અથવા તો તેના થોડા જ સમય પછી લખાયું હતું અને એલીહૂ વિશેના અધ્યાયો તો વધારે પાછળથી લખાયા હોય શકે.

વાંચકવર્ગ

પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો. એવું માનવામાં આવે છે કે અયૂબના પુસ્તકનાં મૂળ વાંચકો મિસરની ગુલામગીરીમાં સબડતા ઇઝરાયલના સંતાનો હતા અને જ્યારે તેઓ મિસરના લોકો હેઠળ દુઃખો સહન કરતા હતા ત્યારે મૂસાએ તેઓને દિલાસો આપવા તે લખ્યું હતું.

હેતુ

અયૂબનું પુસ્તક આપણને નીચેની બાબતો સમજવા મદદ કરે છે: શેતાન આર્થિક અને શારીરિક નાશ કરી શકતો નથી અને તે શું કરી શકે અને શું નહીં તેની પર ઈશ્વરને સત્તા છે. દુનિયાના બધા જ દુઃખો પાછળનું "કેમ (કારણ)" સમજવું તે આપણી માનવીય ક્ષમતાની બહાર છે. દુષ્ટો વાજબી રીતે દુષ્ટતાનું ફળ ભોગવશે. કેટલીક વાર દુઃખોને આપણા જીવનોમાં શુદ્ધ કરવા, કસોટી કરવા, શીખવવા કે આપણા આત્માને મજબૂત કરવા આવવા દેવામાં આવે છે.

મુદ્રાલેખ

સહન કરવાના આશીર્વાદો

રૂપરેખા પ્રસ્તાવના અને શેતાનનો હુમલો (1:1 - 2:13) અયૂબની ત્રણ મિત્રો સાથેની દુઃખો વિષેની ચર્ચા (3:1 - 31:40) એલીહૂની ઈશ્વરની ભલાઈ વિષેની ઘોષણા (32:1 - 37:24) અયૂબને ઈશ્વરના સાર્વભૌમત્વનું પ્રકટીકરણ (38:1 - 41:34) ઈશ્વર અયૂબને પુનઃસ્થાપિત કરે છે (42:1-17)

Chapter 1

શેતાન અયૂબની કસોટી કરે છે

1 ઉસ દેશમાં એક માણસ હતો તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરની બીક રાખનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો. 2 તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી. 3 તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.

4 તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો. 5 તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનીયાર્પણ કરતો. તે કહેતો, ''કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!'' અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો.

6 એક દિવસ દૂતો [1] યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો. 7 યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો? શેતાને યહોવાહને જવાબ આપ્યો. ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું. 8 પછી યહોવાહે શેતાનને કહ્યું, ''શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરથી ડરનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.''

9 ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે,'' શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે? 10 શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. 11 પણ તમારો હાથ લંબાવીને તેની સંપત્તિને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચઢીને શ્રાપ આપશે.'' 12 યહોવાહે શેતાનને કહ્યું, ''જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.

અયૂબનાં સંતાનો અને સંપત્તિનો નાશ

13 એક દિવસે તેના દીકરાઓ અને તેની દીકરીઓ તેઓના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં તે સમયે, 14 એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, ''બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં. 15 એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તલવારથી મારી નાંખ્યા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''

16 તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, ''ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.'' 17 તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''ખાલદીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તલવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.''

18 તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં. 19 તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''

20 પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી. 21 તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. જે મારી પાસે હતું તે યહોવાહે આપ્યું અને યહોવાહે તે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.'' 22 એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ. અને ઈશ્વરને મૂર્ખપણે દોષ આપ્યો નહિ.


1:6 [1] ઈશ્વરના સંતાન

Chapter 2

શેતાને બીમારી દ્વારા અયૂબની પૂરી કરેલો કસોટી

1 એક દિવસે દૂતો ફરી યહોવાહની સમક્ષ હાજર થયા, તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાહની આગળ હાજર થયો. 2 યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો?'' શેતાને યહોવાહને કહ્યું, ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.''

3 યહોવાહે શેતાનને પૂછ્યું કે, ''શું તે મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો'' કે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો. છતાં હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે.''

4 શેતાને યહોવાહને જવાબ આપ્યો, ''ચામડીને બદલે ચામડી હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે. 5 પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના શરીરને સ્પર્શ કરો. એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ દેશે.'' 6 યહોવાહે શેતાનને કહ્યું કે, ''જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.''

7 પછી યહોવાહ પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી ગૂમડાંનું દુ:ખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. 8 તેથી અયૂબ પોતાનું શરીર ઠીકરીથી ખંજવાળવા સારુ રાખમાં બેઠો.

9 ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, ''શું હજુ પણ તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ આપ અને મર.'' 10 પરંતુ અયૂબે તેને ઉત્તર આપ્યો કે, ''તું એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે શું આપણે ઈશ્વરના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું અને દુ:ખ નહિ?'' આ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ કર્યું નહિ.

અયૂબને મિત્રોનો દિલાસો

11 આ સર્વ વિપત્તિ અયૂબ પર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાને ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસલત કરીને તેની પાસે આવ્યા હતા.

12 જ્યારે તેઓએ તેને દૂરથી જોયો ત્યારે તેઓ તેને ઓળખી ન શક્યા; તેઓ પોક મૂકીને રડ્યા; દરેકે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. અને આકાશ તરફ નજર કરીને પોતાના માથા પર ધૂળ નાખી. 13 તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુ:ખી છે. તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.

Chapter 3

અયૂબની અંતરવેદના

1 એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો.

     2 અયૂબે કહ્યું;

     3 ''જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;

     4 તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો,

     તે દિવસે અજવાળું ન થાઓ.

     5 તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ;

     તે પર વાદળ ઠરી રહો;

     તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.

     6 તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો,

     વર્ષના દિવસોમાં તે ન ગણાઓ,

     મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.

     7 તે રાત્રી એકલવાયી થઈ રહો,

     તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ.

     8 તે દિવસને શાપ દેનારા,

     તથા જેઓ વિકરાળ પ્રાણી અજગરને જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.

     9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,

     તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ;

     તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.

     10 કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ.

     અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.

     11 હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો?

     જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો?

     12 તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો.

     અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?

     13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત,

     હું ઊંઘતો હોત અને મને આરામ હોત.

     14 પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ,

     પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં;

     15 જે ઉમરાવો સોનાના માલિક હતા,

     તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે,

     16 કદાચ હું અધૂરો ગર્ભ હોત,

     તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;

     17 ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે

     ત્યાં થાકેલાં આરામ પામે છે.

     18 ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે.

     ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.

     19 બધા જ લોકો ત્યાં સમાન છે.

     ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.

     20 દુ:ખી આત્માવાળાને પ્રકાશ,

     અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?

     21 તેઓ મરવાની ઇચ્છા રાખે છે.

     છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.

     22 જ્યારે તેઓ કબરમાં જાય છે,

     ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.

     23 જેનો માર્ગ ઘેરાઈ ગયો છે,

     અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?

     24 કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે.

     અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે.

     25 કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે.

     જેનો મને ભય છે તે જ મને મળે છે.

     26 મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી;

     પણ વેદના આવી પડ્યા કરે છે.''

Chapter 4

પહેલો સંવાદ

(૪:૧—૧૪:૨૨)

અલિફાઝ (ચાલુ)

1 પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,

     2 ''જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે?

     પણ બોલ્યા વગર કોણ રહી શકે?

     3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે,

     અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.

     4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે,

     અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.

     5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે;

     તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.

     6 ઈશ્વરના ભયમાં તને ભરોસો નથી?

     તારા સદાચાર પર તને આશા નથી?

     7 હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે?

     અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?

     8 મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે,

     તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.

     9 ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે.

     તેઓના કોપની જ્વાલાઓથી તેઓ ભસ્મ થઈ જાય છે.

     10 સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ,

     અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે.

     11 વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે.

     અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.

     12 હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી,

     અને તેના ભણકારા મારા કાને પડ્યા.

     13 જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે,

     ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં,

     14 હું ભયથી ધ્રુજી ગયો

     અને મારાં સર્વ હાડકાં થથરી ઊઠયાં.

     15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઈ ગયો

     અને મારા શરીરનાં રૂઆં ઊભાં થઈ ગયાં.

     16 તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ.

     એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી. અને ત્યાં શાંતિ હતી. પછી મેં એવો અવાજ સાંભળ્યો કે,

     17 'શું માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોઈ શકે?

     શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઈ શકે?

     18 જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી;

     અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.

     19 તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર,

     જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે.

     તેઓને તે કેટલા અધિક ગણશે?

     20 સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે.

     તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.

     21 શું તેઓનો વૈભવ જતો રહેતો નથી?

     તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.''

Chapter 5

અલિફાઝ (ચાલુ)

     1 ''હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું?

     તું હવે ક્યા પવિત્રને શરણે જશે?

     2 કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે;

     ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે.

     3 મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે,

     પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો.

     4 તેનાં સંતાનો સહીસલામત નથી,

     તેઓ ભાગળમાં કચડાય છે.

     અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.

     5 તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે,

     વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે.

     6 કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી.

     અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી.

     7 પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે.

     તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે.

     8 છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું.

     9 તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે

     તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.

     10 તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે,

     અને ખેતરોમાં જળ પહોંચાડે છે.

     11 તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે;

     તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.

     12 તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે,

     જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.

     13 કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે.

     અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે.

     14 ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે,

     અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.

     15 પણ તે લાચારને તેઓની તલવારથી

     અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે.

     16 તેથી ગરીબને આશા રહે છે,

     અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે.

     17 જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે,

     માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ.

     18 કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;

     તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.

     19 છ સંકટમાંથી તે તને બચાવશે,

     હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ.

     20 તે તને દુકાળમાં મૃત્યુમાંથી;

     અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.

     21 જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે.

     અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.

     22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.

     અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.

     23 તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે.

     પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ.

     24 તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે.

     અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ.

     25 તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે,

     અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.

     26 જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે.

     તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ.

     27 જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે;

     તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.''

Chapter 6

અયૂબ

1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,

     2 ''અરે, મારી વિપત્તિઓનો તોલ થાય,

     અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!

     3 કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય.

     તેથી મારું બોલવું અવિચારી હતું.

     4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે,

     અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે;

     ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

     5 શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે?

     અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?

     6 શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય?

     અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?

     7 હું તેને અડકવા માગતો નથી;

     તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે.

     8 અરે, જો મારી વિનંતી સફળ થાય;

     અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે!

     9 એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે,

     અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!

     10 તેથી હજીયે મને દિલાસો થાય.

     હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું,

     કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.

     11 મારું બળ શું છે કે હું સહન કરું?

     અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?

     12 શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે?

     શું મારું શરીર પિત્તળનું છે?

     13 શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી,

     શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?

     14 નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ;

     રખેને તે સર્વશક્તિમાનનો ભય ત્યજી દે.

     15 પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે.

     એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,

     16 જેઓ બરફના કારણે કાળાં દેખાય છે.

     અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.

     17 તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે;

     અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.

     18 તેઓની પાસે કાફલા જાય છે

     અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.

     19 તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા,

     શેબાના સંઘે તેઓની રાહ જોઈ.

     20 પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા.

     પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.

     21 કેમ કે હવે તમે એવા જ છો;

     મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો.

     22 શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?'

     અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?'

     23 અથવા, 'મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?'

     કે, 'જુલમીના હાથમાંથી મને છોડાવો?'

     24 મને સમજાવો એટલે હું ચૂપ રહીશ;

     અને મેં કરેલી ભૂલ મને બતાવો.

     25 સત્ય વચન કેવાં અસરકારક હોય છે!

     પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો ?

     26 પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે.

     તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?

     27 હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો,

     તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.

     28 તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ,

     કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.

     29 તો હવે કૃપા કરીને પાછા ફરો [1] ; કંઈ અન્યાય થવો ન જોઈએ;

     હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.

     30 શું મારી જીભમાં અન્યાય છે?

     શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?''


6:29 [1] ફરીથી વિચારો

Chapter 7

અયૂબ (ચાલુ)

     1 ''શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી?

     શું તેના દિવસો મજૂરના જેવા નથી?

     2 આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ.

     અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ,

     3 તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે;

     અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.

     4 સૂતી વેળાએ હું વિચારું છું કે,

     'હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?'

     સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.

     5 મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે.

     મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.

     6 મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે,

     અને આશા વિના તેનો અંત આવે છે.

     7 યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે;

     મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.

     8 જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ;

     તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.

     9 જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે,

     તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ.

     10 તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ;

     હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.

     11 માટે હું મારું મુખ બંધ નહિ રાખું;

     મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ;

     મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.

     12 શું હું સમુદ્ર છું કે સમુદ્રનું અજગર છું કે,

     તમે મારો ચોકી-પહેરો રાખો છો?

     13 જ્યારે હું એમ કહું છું કે, 'મારી પથારી મને શાંતિ આપશે,

     મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,'

     14 ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો

     અને સંદર્શનોથી મને ગભરાવો છો.

     15 ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને,

     અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.

     16 મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી;

     મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.

     17 મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો,

     અને તમે તેના પર મન લગાડો,

     18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો

     અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?

     19 ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ?

     હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?

     20 જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું?

     તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે,

     તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું?

     21 તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી?

     હવે હું ધૂળમાં ભળી જઈશ;

     તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.''

Chapter 8

બિલ્દાદ

1 ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,

     2 ''તું ક્યાં સુધી આવી વાતો કરીશ?

     તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?

     3 શું ઈશ્વર અન્યાય કરે છે?

     સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?

     4 જો તારા સંતાનોએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે,

     તો ઈશ્વરે તેમને તેમના પાપનું ફળ આપ્યું છે.

     5 જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે,

     અને સર્વશક્તિમાનની યાચના કરશે,

     6 અને તું જો પવિત્ર અને પ્રામાણિક હોત;

     તો નિશ્ચે તે હમણાં તારે સારુ જાગૃત થઈને,

     તારાં ધાર્મિક ઘરને આબાદ કરત.

     7 જો કે તારી શરૂઆત નહિ જેવી હતી.

     તોપણ આખરે તે તને બહુ સફળ કરત.

     8 કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો;

     આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે.

     9 આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી.

     પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.

     10 શું તેઓ તને નહિ શીખવે? અને કંઈ નહિ કહે?

     તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહિ કહે?

     11 શું કાદવ વિના છોડ ઊગે? કે,

     જળ વિના બરુ ઊગે?

     12 હજી તો તે લીલાં હોય છે. અને કપાયેલાં હોતાં નથી.

     એટલામાં બીજી કોઈ વનસ્પતિ અગાઉ તે સુકાઈ જાય છે.

     13 ઈશ્વરને ભૂલી જનાર સર્વના એવા જ હાલ થાય છે

     અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.

     14 તેની આશા ભંગ થઈ જશે.

     તેનો ભરોસો કરોળિયાની જાળ જેવો નાજુક છે.

     15 તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે.

     તે તેને મજબૂતાઈથી પકડી રાખશે પણ તે ટકશે નહિ.

     16 સૂર્યના પ્રકાશથી તે લીલો હોય છે.

     તેની ડાળીઓ ફૂટીને આખા બગીચામાં ફેલાય છે.

     17 તેનાં મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલાં હોય છે;

     તેઓ પર્વતો પર સારી જગ્યાઓ શોધે છે.

     18 જો તે નાશ પામે

     તો તેની જગા તેનો નકાર કરશે કે, 'મેં તને જોયો જ નથી.'

     19 જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે;

     અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે.

     20 ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ,

     અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ.

     21 હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે.

     અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.

     22 તારા દુશ્મનો શરમથી છુપાઈ જશે

     અને દુર્જનોનો તંબુ નાશ પામશે.''

Chapter 9

અયૂબ

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,

     2 હા, ''હું જાણું છું કે એમ જ છે.

     પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે?

     3 જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે,

     તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ.

     4 ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે,

     તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?

     5 તે પર્વતોને ખસેડે છે

     અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.

     6 તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે.

     અને તેના સ્થંભો કંપે છે.

     7 તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી,

     અને જે તારાઓને ઢાંકી દે છે.

     8 તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે,

     અને સમુદ્રના મોજા પર ચાલે છે.

     9 જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા,

     અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.

     10 ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે.

     હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.

     11 જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી;

     તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.

     12 તે પકડી લે તો તેમને કોણ રોકી શકે?

     તેમને કોણ પૂછી શકે કે, 'તમે શું કરો છો?'

     13 ઈશ્વર તેમનો કોપ પાછો ખેંચી નહિ લેશે;

     અભિમાનીઓને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે.

     14 ત્યારે તેમને ઉત્તર આપવાને,

     તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?

     15 જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત;

     હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત.

     16 જો મેં તેમને બોલાવ્યા હોત અને તેમણે મને ઉત્તર આપ્યો હોત,

     તોપણ મને ખાતરી છે કે તે મારું સાંભળશે નહિ.

     17 તે મને કચરી નાખવા તોફાન મોકલશે.

     કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.

     18 તે મને શ્વાસ લેવા દેતા નથી,

     પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરે છે.

     19 જો આપણે બળ વિષે કહીએ કે, શા માટે તે બળવાન છે!

     અને જો ન્યાય વિષે બોલીએ 'તો તે કહે છે, કે કોણ મને પ્રશ્ન પૂછી શકે?'

     20 જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મુખે હું દોષિત ઠરીશ;

     જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.

     21 હું સંપૂર્ણ છું, પણ મારી પોતાની પરવા કરતો નથી

     હું મારા જીવનને ધિક્કારું છું.

     22 પરંતુ દરેક વસ્તુ સરખી જ છે. તેથી હું કહું છું કે

     તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ નાશ કરે છે.

     23 જો ફટકાથી તત્કાળ મોત નીપજે,

     તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.

     24 પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે.

     ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે.

     જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે?

     25 મારા દિવસો એક દોડવીર કરતાં પણ વધારે ઝડપી છે.

     મારા દિવસો વેગે વહી રહ્યા છે અને તેમા કંઈ હિત નથી.

     26 તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ,

     તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે.

     27 જો હું એમ કહું કે 'હું મારા દુ:ખ વિષે ભૂલી જઈશ.

     હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ.

     28 હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું.

     હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.

     29 હું દોષિત જ ઠરવાનો છું;

     તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું?

     30 જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં

     અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું [1] ,

     31 તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે,

     અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે.

     32 કેમ કે તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું,

     કે, અમે તેના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ.

     33 અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે,

     જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.

     34 જો ઈશ્વર પોતાની સોટી મારા પરથી લઈ લે

     અને તે મને ડરાવે નહિ.

     35 તો હું તેમનો ડર રાખ્યા વગર બોલું.

     પણ જેમ હમણાં છે તેમ, હું તે કરી શકું નહિ.


9:30 [1] સાબુનથી સાફ કરવું

Chapter 10

અયૂબ (ચાલુ)

     1 મારો આત્મા આ જીવનથી કંટાળી ગયો છે;

     હું મારી ફરિયાદો વિષે મુક્ત રીતે વિલાપ કરીશ;

     મારા જીવની વેદનાએ હું બોલીશ.

     2 હું ઈશ્વરને કહીશ કે, 'મને દોષિત ન ઠરાવો;

     તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો.

     3 જુલમ કરવો,

     તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું

     અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે?

     4 શું તમને ચર્મચક્ષુ છે,

     અથવા શું તમે માણસની જેમ જુઓ છો?

     5 શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે,

     તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,

     6 તમે મારા અન્યાયની તપાસ કરો છો,

     અને મારાં પાપ શોધો છો.

     7 તમે જાણો છો કે હું દોષિત નથી,

     અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.

     8 તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે,

     છતાં તમે મારો વિનાશ કરો છો.

     9 કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે;

     શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?

     10 શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી?

     અને મને પનીરની જેમ જમાવ્યો નથી?

     11 તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે.

     તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે.

     12 તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે.

     અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે.

     13 છતાં આ બાબત તમે તમારા હૃદયમાં ગુપ્ત રાખી છે.

     હું જાણું છું કે એ તમારો આશય છે.

     14 જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો;

     તમે મારા અન્યાય વિષે મને નિર્દોષ ઠરાવશો નહિ.

     15 જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ!

     જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ,

     કેમ કે મને અતિશય શરમ લાગે છે.

     અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.

     16 જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો

     અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો.

     17 તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો,

     અને મારા ઉપર તમારો રોષ વધારો છો;

     તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો.

     18 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા?

     ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત.

     19 હું હતો ન હતો થઈ ગયો હોત;

     ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત.

     20 શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો,

     અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું

     21 કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં,

     એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે,

     22 એટલે ઘોર અંધકારનાં દેશમાં,

     જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે,

     તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.'''

Chapter 11

સોફાર

1 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે,

     2 ''શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ?

     શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે?

     3 શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય?

     જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે?

     4 કેમ કે તું ઈશ્વરને કહે છે કે, 'મારો મત સાફ છે,

     હું તમારી નજરમાં નિર્દોષ છું.'

     5 પણ જો, ઈશ્વર બોલે

     અને તારી વિરુદ્ધ પોતાનું મુખ ખોલે;

     6 તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે!

     તેમની પાસે બહુવિધ સમજણ છે.

     તે માટે જાણ કે, ઈશ્વરે તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે.

     7 શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે?

     શું તું યોગ્ય રીતે સર્વશક્તિમાનને સમજી શકે છે?

     8 તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે?

     તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે?

     9 તેનું માપ પૃથ્વી કરતાં લાંબું,

     અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.

     10 જો તે કોઈને પણ પકડી અને કેદમાં પૂરે,

     અને તેનો ન્યાય કરવા તેને આગળ બોલાવે તો તેમને કોણ અટકાવી શકે?

     11 કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે;

     જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી?

     12 પણ મૂર્ખ લોકો પાસે સમજણ નથી;

     જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.

     13 પણ જો તું તારું મન સીધું રાખે

     અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે;

     14 તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે,

     અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે.

     15 તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે.

     હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ.

     16 તું તારું દુ:ખ ભૂલી જશે;

     અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે.

     17 તારી જિંદગી બપોર કરતાં પણ વધુ તેજસ્વી થશે.

     જો અંધકાર હશે તોપણ, તે પ્રભાતના જેવી થશે.

     18 આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે;

     તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે.

     19 વળી તું નિરાંતે સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ;

     હા, ઘણા લોકો તારી પાસે અરજ કરશે.

     20 પણ દુષ્ટોની આંખો નિસ્તેજ થઈ જશે;

     તેઓને નાસી જવાનો કોઈ રસ્તો નહિ રહે;

     મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.''

Chapter 12

અયૂબ

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,

     2 ''નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી;

     તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.

     3 પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે;

     અને હું તમારા કરતાં ઊતરતો નથી.

     હા, એ બધું કોણ નથી જાણતું?

     4 મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું;

     હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું;

     હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.

     5 જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે;

     જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.

     6 લૂટારુઓનાં ઘર આબાદ થાય છે,

     અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે;

     તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે.

     7 પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે,

     જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.

     8 અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે;

     સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.

     9 દરેક વ્યક્તિ જાણે છે કે

     આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે.

     10 બધા જ જીવો તથા

     મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.

     11 જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે,

     તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા?

     12 વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે;

     અને પાકી વયમાં સમજણ હોય છે.

     13 પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે.

     સમજ અને સત્તા તો તેમની પાસે જ છે.

     14 ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી;

     જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી.

     15 જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે;

     અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે.

     16 તેમની પાસે બળ અને બુદ્ધિ છે;

     છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે.

     17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે

     અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે.

     18 રાજાઓનાં બંધન તે તોડી પાડે છે.

     અને તેમની કમરે સાંકળ બાંધે છે.

     19 તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે,

     અને બળવાનનો પરાજય કરે છે.

     20 વક્તાઓની વાણી તે લઈ લે છે.

     અને વડીલોનું ડહાપણ લઈ લે છે.

     21 રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે.

     તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.

     22 તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે.

     23 તે પ્રજાઓને બળવાન બનાવે છે,

     તે તેઓનો નાશ પણ કરે છે.

     24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે;

     અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે.

     25 તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે

     અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે.

Chapter 13

અયૂબ (ચાલુ)

     1 જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે;

     મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.

     2 તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું;

     તમારાથી હું કંઈ કાચો નથી.

     3 નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું,

     હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.

     4 પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો;

     તમે બધા ઊંટવૈદ જેવા છો.

     5 તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું!

     કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.

     6 હવે મારી દલીલો સાંભળો;

     મારા મુખની અરજ પર ધ્યાન આપો.

     7 શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો,

     અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?

     8 શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો?

     શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?

     9 તે તમારી ઝડતી લે તો સારું,

     અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?

     10 તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો,

     તો ઈશ્વર તમને ઠપકો આપશે.

     11 શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે?

     અને તેમનો ભય તમારા પર નહિ આવે?

     12 તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે;

     અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.

     13 છાના રહો, મને નિરાંતે બોલવા દો,

     મારા પર જે થવાનું હોય તે થવા દો.

     14 મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ.

     હું મારો જીવ મારા હાથોમાં લઈશ.

     15 જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ;

     તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.

     16 ફક્ત એ જ મારું તારણ થઈ પડશે.

     કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.

     17 મારી વાત તમે ધ્યાનથી સાંભળો.

     મારા બોલવા પર કાન દો.

     18 હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે.

     અને હું જાણું છું કે હું નિર્દોષ છું.

     19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે?

     જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.

     20 હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો,

     અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;

     21 તમારો હાથ મારા પરથી ખેંચી લો,

     અને તમારા ભયથી મને ન ગભરાવો.

     22 પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું;

     અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.

     23 મારાં પાપો અને અન્યાયો કેટલા છે?

     મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.

     24 શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો?

     શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?

     25 શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો?

     શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?

     26 તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો;

     અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.

     27 તમે મારા પગમાં બેડીઓ બાંધો છો;

     તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો,

     તમે મારાં પગલાં તપાસો છો;

     28 જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું,

     તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.

Chapter 14

અયૂબ (ચાલુ)

     1 સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે,

     અને તે સંકટથી ભરપૂર છે.

     2 તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે;

     વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.

     3 શું એવા પર તમે લક્ષ આપો છો?

     શું મને તમારો પ્રતિવાદી બનાવો છો?

     4 જો અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું? પણ એવું બનવું અશક્ય છે.

     5 તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે,

     તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.

     તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.

     6 તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે.

     જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે.

     7 ઝાડને માટે પણ આશા છે;

     જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે,

     અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.

     8 જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય,

     અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય.

     9 છતાંપણ તેને પાણી મળવાથી તે ખીલશે,

     અને રોપાની જેમ તેને ડાળીઓ ફૂટશે.

     10 પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે;

     હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?

     11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે,

     અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે

     12 તેમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી

     આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી તે જાગશે નહિ.

     13 તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો,

     અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો;

     અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું!

     14 જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે?

     જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી

     હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ.

     15 તમે મને બોલાવો અને હું તમને ઉત્તર આપીશ.

     તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત.

     16 તમે મારાં પગલાંને ગણો છો;

     શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?

     17 મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે.

     તમે મારા અન્યાયને ઢાંકી દો છો.

     18 નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે,

     અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.

     19 પાણી પથ્થરોને ઘસી નાખે છે;

     પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે.

     અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.

     20 તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે;

     તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.

     21 તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી;

     તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે.

     22 તેના શરીરમાં વેદના થાય છે;

     તેનો અંતરઆત્મા તેને સારુ શોક કરે છે.''

Chapter 15

બીજો સંવાદ

(૧૫:૧—૨૧:૩૪)

અલિફાઝ

1 પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,

     2 ''શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે

     અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?

     3 શું તે નિરર્થક વાત વડે કે,

     હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?

     4 હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે.

     તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,

     5 કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે.

     અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.

     6 મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે;

     હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.

     7 શું તું આદિ પુરુષ છે?

     શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?

     8 શું તેં ઈશ્વરના ગૂઢ ડહાપણ વિષે સાંભળ્યું છે ખરું?

     શું તેં બધી બુદ્ધિ તારા પોતાનામાં સમાવી રાખી છે?

     9 અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે?

     અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે?

     10 અમારામાં પળીયાંવાળા તથા વૃદ્ધ માણસો છે,

     જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉંમરના પુરુષો છે.

     11 શું ઈશ્વરના દિલાસા,

     તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતમાં નથી.?

     12 તારું હૃદય તને કેમ દૂર લઈ જાય છે?

     તારી આંખો કેમ મિચાય છે?

     13 તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે.

     અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે?

     14 શું માણસ પવિત્ર હોઈ શકે?

     સ્ત્રીજન્ય માનવી ન્યાયી હોઈ શકે?

     15 જો, તે પોતાના સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.

     હા, તેમની દ્રષ્ટિમાં તો આકાશો પણ શુદ્ધ નથી;

     16 તો જે ધિક્કારપાત્ર, અધમ,

     તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય!

     17 હું તમને બતાવીશ; મારું સાંભળો;

     મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ.

     18 તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે,

     તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી.

     19 કેવળ આ તેઓના પિતૃઓને જ ભૂમિ આપવામાં આવી હતી.

     અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નથી.

     20 દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે,

     તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે.

     21 તેનાં કાનમાં ભયનો અવાજ ગૂંજે છે;

     આબાદીને સમયે લૂંટનાર તેના પર હુમલો કરશે.

     22 તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ;

     તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે.

     23 તે ખોરાક માટે એમ કહીને ભટકે છે કે, તે ક્યાં છે?

     તે જાણે છે કે અંધકારનાં દિવસો નજીક છે.

     24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;

     યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.

     25 કેમ કે તેણે ઈશ્વરની સામે પોતાનો હાથ ઉઠાવ્યો છે

     અને સર્વશક્તિમાન ઈશ્વરની સામે તે અહંકારથી વર્તે છે.

     26 દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને,

     મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે

     27 આ સાચું છે, જો કે તેણે પોતાનું મુખ તેના શરીરની ચરબીથી ઢાંક્યું છે

     અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝ્યાં છે.

     28 તે ઉજ્જડ નગરોમાં

     જે ઘરમાં કોઈ રહે નહિ એવાં,

     તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે.

     29 તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ.

     તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.

     30 તે અંધકારમાંથી બચશે નહિ;

     જ્વાળાઓ તેની ડાળીઓને સૂકવી નાખશે;

     અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે.

     31 તેણે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઈએ નહિ;

     કેમ કે તેને કંઈ મળશે નહિ.

     32 તેના જીવનનો અંત આવે તે પહેલાં ભરપૂરી પામશે,

     અને તેની ડાળીઓ લીલી નહિ રહેશે.

     33 દ્રાક્ષના વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો પાડી નાખશે;

     અને જૈતૂનના વૃક્ષની જેમ તેનાં ફૂલ ખરી પડશે.

     34 કેમ કે ઢોંગી લોકોનો સંગ નિષ્ફળ થશે;

     રુશવતખોરોનાં ઘરો અગ્નિથી નાશ પામશે.

     35 દુષ્ટ લોકો નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અને અન્યાયને જન્મ આપે છે;

     તેઓનું પેટ ઠગાઈને સિદ્ધ કરે છે.''

Chapter 16

અયૂબ

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,

     2 ''મેં એવી ઘણી વાતો સાંભળી છે;

     તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો.

     3 શું તમારા નકામા શબ્દોનો અંત નથી?

     તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો.

     4 તમારી જેમ હું પણ બોલી શકું છું;

     જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત,

     તો હું તમારી સામે ડાહી વાતો કરત,

     અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત.

     5 અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત!

     મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત!

     6 જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી;

     અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?

     7 પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે;

     તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે.

     8 તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે;

     અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે.

     9 ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે;

     તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે.

     મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે.

     10 લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે.

     તેઓ મારા મોં પર તમાચો મારે છે;

     તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.

     11 ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે;

     અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે.

     12 હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો;

     હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા.

     તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે.

     13 તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે;

     તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી;

     તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.

     14 તે વારંવાર મને કચડી નાખે છે;

     તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે.

     15 મેં શોકના વસ્ત્રો પહેર્યા છે,

     અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે.

     16 રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે.

     મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે.

     17 જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી,

     અને મારી પ્રાર્થના શુદ્ધ છે.

     18 હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ [1] .

     મારા અવાજને તું દાટી દઈશ નહિ.

     19 જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે

     મારો શાહેદ ઉચ્ચસ્થાને છે.

     20 મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે,

     પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે.

     21 એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને,

     તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે!

     22 કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે,

     ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.


16:18 [1] મારા વિરુદ્ધ કરેલા ખટી બાબતોને છુપવી દેશો નહિ

Chapter 17

અયૂબ (ચાલુ)

     1 મારો આત્મા ક્ષીણ થયો છે [1] અને મારું આયુષ્ય સમાપ્ત થયું છે;

     મારા માટે કબર તૈયાર છે.

     2 નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે;

     અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે.

     3 હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ;

     બીજું કોણ છે જે મારી મદદ કરે?

     4 હે ઈશ્વર, તમે જ, તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી;

     તેથી તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.

     5 જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે.

     તેનાં સંતાનોની આંખો ક્ષીણ થશે.

     6 તેમણે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે;

     તેઓ મારા મોઢા પર થૂંકે છે.

     7 દુ:ખથી મારી આંખો ઝાંખી થઈ છે;

     અને મારાં બધાં અંગો પડછાયા જેવાં બની ગયા છે.

     8 ન્યાયી લોકો આને લીધે વિસ્મય પામશે;

     નિર્દોષ લોકો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.

     9 છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે

     અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે.

     10 પરંતુ તમે બધા, પાછા વળીને આવો;

     મને તો તમારામાં એકપણ બુદ્ધિમાન પુરુષ મળતો નથી.

     11 મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઈ ગઈ છે.

     મારા હૃદયની ઇચ્છાઓ પણ પૂરી થઈ ગઈ છે.

     12 આ લોકો, રાતને દિવસ માને છે,

     તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે.

     13 જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત,

     જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત;

     14 મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, 'તું મારો પિતા છે;'

     મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;'

     15 તો પછી મારી આશા ક્યાં રહી ?

     અને મારી આબાદીને કોણ જોશે?

     16 જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે,

     આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?''


17:1 [1] મારો આત્મા તુટી ગયો છે

Chapter 18

બિલ્દાદ

1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,

     2 ''તારા શબ્દોનો અંત લાવ.

     વિચાર કરો અને પછી અમે વાત કરીશું.

     3 અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ?

     અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?

     4 તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે.

     શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે?

     અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?

     5 હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે;

     તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.

     6 તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે;

     તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.

     7 તેનાં પગલાં મંદ પડી જશે.

     તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.

     8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે;

     તે જાળમાં ગૂંચવાયા કરે છે.

     9 ફાંદો તેના પગની પાની પકડી લેશે [1] ,

     અને ફાંદો તેને ફસાવશે.

     10 જમીનમાં તેને સારુ જાળ;

     અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.

     11 ચારેકોર ભય તેને ગભરાવશે;

     તે તેની પાછળ પડશે.

     12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે.

     વિનાશ તેની પડખે તૈયાર રહેશે.

     13 તે તેના શરીરની ચામડીને કોરી ખાશે.

     ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે.

     14 પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે;

     અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.

     15 જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે;

     એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે.

     16 તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે;

     તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે.

     17 તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે.

     અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ.

     18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે

     અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.

     19 તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ.

     તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.

     20 જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે.

     અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે [2] .

     21 નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે.

     જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.


18:9 [1] નાશ કરશે, કબજો કરશે
18:20 [2] તેના પહેલા અને તેના પછી રહેનાર લોકો ભયભીત થશે.

Chapter 19

અયૂબ

1 ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,

     2 ''તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો?

     અને શબ્દોથી મને કચડ્યા કરશો?

     3 આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે;

     મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.

     4 જો મેં પાપ કર્યુ પણ હોય,

     તો તે મારી ભૂલ મારી પાસે રહી.

     5 જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય,

     અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;

     6 તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે

     તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.

     7 જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી;

     હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.

     8 ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી,

     તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.

     9 તેમણે મારો વૈભવ છીનવી લીધો છે,

     મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.

     10 તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે;

     મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.

     11 વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે;

     તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.

     12 તેનું આખું સૈન્ય મારી સામે આવે છે;

     તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે.

     અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.

     13 તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે;

     મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.

     14 સગાં વહાલાંઓએ મને તજી દીધો છે.

     મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.

     15 મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે.

     તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.

     16 હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી

     જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.

     17 મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે;

     મારા સગા ભાઈઓ અને બહેનો [1] મારે આજીજી કરવી પડે છે.

     18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;

     જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.

     19 મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે;

     મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.

     20 મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે.

     માંડમાંડ મારો જીવ બચ્યો છે.

     21 હે મારા મિત્રો, મારા પર દયા કરો,

     કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.

     22 શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો;

     મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?

     23 અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે!

     અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!

     24 અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી,

     સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!

     25 હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે.

     અને આખરે તે પૃથ્વી [2] પર ઊભા રહેશે;

     26 મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ,

     હું મારા ઈશ્વરને જોઈશ.

     27 તેમને હું પોતાની જાતે જોઈશ;

     મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ

     મારું હૃદય નિર્બળ થાય છે.

     28 જો તમે કહો, 'અમે તેને કેવો સતાવીશું,'

     કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,'

     29 તો તલવારથી તમે બીહો,

     કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે,

     તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.''


19:17 [1] મારા સંતાનો
19:25 [2] માટી, કબર

Chapter 20

સોફાર

1 ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,

     2 ''મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે.

     ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.

     3 મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે,

     અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.

     4 શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી,

     એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,

     5 દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે,

     તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?

     6 તેનો યશ આકાશ સુધી પહોંચે,

     અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,

     7 તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે.

     જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, 'તે ક્યાં છે?'

     8 સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ;

     રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.

     9 જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ.

     તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ.

     10 તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે,

     અને તેના હાથો [1] તેનું ધન પાછું આપશે.

     11 તેનામાં યુવાનીનું જોર છે.

     પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.

     12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે.

     જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.

     13 જો કે તે તેને પાછી રાખીને જવા ન દે,

     પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.

     14 પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે;

     તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.

     15 તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે;

     ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.

     16 તે સર્પનું ઝેર ચૂસશે;

     નાગનો ડંખ તેને મારી નાખશે.

     17 તે નદીઓ, માખણ

     તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ.

     18 જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ;

     તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ.

     19 કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે,

     તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.

     20 તેના મનમાં કંઈ શાંતિ નહોતી,

     માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.

     21 તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી;

     તેની સફળતા ટકશે નહીં.

     22 તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે,

     દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.

     23 જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે;

     તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.

     24 જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે,

     તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે.

     25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે;

     તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે.

     તેના પર ભય આવી પડશે.

     26 તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે.

     પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.

     27 આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે,

     પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે.

     28 તેના ઘરની સંપત્તિ [2] નાશ પામશે,

     તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.

     29 દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો,

     તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.''


20:10 [1] તેના પુત્રોના હાથ
20:28 [2] આખો ઘર

Chapter 21

અયૂબ

1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;

     2 ''હું જે કહું તે ધ્યાનથી સાંભળો,

     અને મને દિલાસો આપો.

     3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો;

     પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.

     4 શું મારી ફરિયાદ માણસ સામે છે?

     હું શા માટે અધીરો ના થાઉં?

     5 મારી સામે જોઈને આશ્ચર્ય પામો,

     અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.

     6 હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું,

     હું ભયથી ધ્રૂજી ઊઠું છું.

     7 શા માટે દુર્જનો લાંબુ જીવે છે?

     શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?

     8 દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે.

     દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.

     9 તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે;

     અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.

     10 તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી;

     તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.

     11 તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.

     તેઓનાં સંતાનો નાચે છે.

     12 તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે,

     અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.

     13 તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે,

     અને એક પળમાં [1] તેઓ શેઓલમાં ઊતરી જાય છે.

     14 તેઓ ઈશ્વરને કહે છે, 'અમારાથી દૂર જાઓ

     કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.

     15 તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ?

     તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?

     16 જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી?

     દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.

     17 દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે?

     અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે?

     ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?

     18 તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા

     વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?

     19 તમે કહો છો કે, 'ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;'

     તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.

     20 તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ,

     અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.

     21 તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી,

     તે કુટુંબમાં શો આનંદ રહે છે?

     22 શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે?

     ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.

     23 માણસ પૂરજોરમાં,

     તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.

     24 તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે.

     અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.

     25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,

     અને કદી સુખનો અનુભવ કરતો નથી.

     26 તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે.

     અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.

     27 જુઓ, હું તમારા વિચારો જાણું છું

     અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.

     28 માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે?

     દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?'

     29 શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું?

     તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,

     30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે,

     અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?

     31 તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે?

     તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?

     32 તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે,

     અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.

     33 ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે,

     જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા,

     તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.

     34 તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો?

     કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.''


21:13 [1] શાંતિમાં

Chapter 22

ત્રીજો સંવાદ

(૨૨:૧—૨૭:૨૩)

અલિફાઝ

1 ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,

     2 ''શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે?

     શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?

     3 તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય?

     તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?

     4 શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે

     અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?

     5 શું તારી દુષ્ટતા ઘણી નથી?

     તારા અન્યાય તો પાર વિનાના છે.

     6 કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે;

     અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.

     7 તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી;

     તમે ભૂખ્યાને રોટલી આપી નથી,

     8 જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો.

     અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.

     9 તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે;

     અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.

     10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે,

     અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;

     11 જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે,

     અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.

     12 શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી?

     તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?

     13 તું કહે છે, ઈશ્વર શું જાણે છે?

     શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?

     14 ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી;

     અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.'

     15 જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા,

     તેને શું તું વળગી રહીશ?

     16 તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા,

     તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.

     17 તેઓ ઈશ્વરને કહેતા હતા કે, 'અમારાથી દૂર ચાલ્યા જાઓ;'

     તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?'

     18 તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં;

     પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.

     19 ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે;

     અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.

     20 તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે;

     અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.'

     21 હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે;

     જેથી તારું ભલું થશે.

     22 કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ

     અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.

     23 જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે,

     અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.

     24 જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે,

     અને ઓફીરનું સોનું નાળાંંના પાણીમાં ફેંકી દે.

     25 તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે,

     અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.

     26 તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે;

     અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.

     27 તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે;

     અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.

     28 વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે;

     તારા માર્ગમાં પ્રકાશ પડશે.

     29 ઈશ્વર અભિમાનીને પાડે છે,

     અને નમ્રને તેઓ બચાવે છે.

     30 જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે,

     તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.''

Chapter 23

અયૂબ

1 ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,

     2 ''આજે પણ મારી ફરિયાદ કડવી છે;

     મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.

     3 અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું!

     અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!

     4 હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત

     અને મારું મોઢુંં દલીલોથી ભરત.

     5 મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.

     અને તે મને જે કહેત તે હું સમજત.

     6 શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે?

     ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.

     7 ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે.

     પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.

     8 જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી.

     હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.

     9 ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી.

     જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.

     10 પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે;

     મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.

     11 મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે;

     મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.

     12 તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી;

     મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.

     13 પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે?

     તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.

     14 તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે.

     અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.

     15 માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું.

     જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.

     16 ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે;

     અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.

     17 કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે,

     ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.

Chapter 24

અયૂબ (ચાલુ)

     1 સર્વશક્તિમાન ઈશ્વરે સમયો કેમ નિશ્ચિત કર્યા નથી?

     જેઓ તેમને જાણે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?

     2 ખેતરની હદને ખસેડનાર લોક તો છે;

     તેઓ જુલમથી ટોળાંને ચોરી જઈને તેમને ચરાવે છે.

     3 તેઓ અનાથોના ગધેડાઓને ચોરી જાય છે;

     અને વિધવાના બળદોને ગીરે મૂકવા માટે લઈ લે છે.

     4 તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે.

     અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે.

     5 જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ,

     તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે;

     અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.

     6 ગરીબ બીજાના ખેતરમાં મોડી રાત સુધી ખોરાક શોધે છે;

     અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે.

     7 તેઓ આખીરાત વસ્ત્ર વિના ઉઘાડા સૂઈ રહે છે,

     અને ઠંડીમાં ઓઢવાને તેમની પાસે કશું નથી.

     8 પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે,

     અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભીડે છે.

     9 અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે.

     તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે.

     10 તેઓને વસ્ત્ર વિના ફરવું પડે છે;

     તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે, છતાં પણ તેઓ ભૂખ્યા રહે છે.

     11 તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે,

     અને દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષ પીલે છે અને તરસ્યા જ રહે છે.

     12 ઘણી વસ્તીવાળા નગરોમાંથી માણસો શોક કરે છે;

     ઘાયલોના આત્મા બૂમ પાડે છે,

     તે છતાં ઈશ્વર તેઓના પ્રાર્થના સાંભળતા નથી [1] .

     13 તેવો અજવાળા વિરુદ્ધ બળવો કરે છે;

     તેઓ તેનો માર્ગ જાણતા નથી

     અને તેમના માર્ગમાં ટકી રહેતા નથી.

     14 ખૂની માણસ અજવાળું થતાં જાગીને ગરીબો અને દરિદ્રીને મારી નાખે છે.

     અને રાત પડે ત્યારે તે ચોર જેવો હોય છે.

     15 જે વ્યક્તિ વ્યભિચાર કરે છે, તે સાંજ થવાની રાહ જુએ છે;

     તે એમ કહે છે કે, 'કોઈ મને જોશે નહિ.'

     તે તેનું મોં ઢાંકે છે.

     16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ચોરી કરે છે;

     પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં બારણાં બંધ કરીને પુરાઈ રહે છે;

     તેઓ અજવાળું જોવા માંગતા નથી.

     17 કેમ કે સવાર તો તેઓને અંધકાર સમાન લાગે છે;

     કેમ કે તેઓ અંધકારનો ત્રાસ જાણે છે.

સોફાર

     18 દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે;

     પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે.

     તે દ્રાક્ષવાડીમાં ફરી જવા પામતો નથી.

     19 અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે;

     તેમ શેઓલ પાપીઓને શોષી લે છે.

     20 જે ગર્ભે તેને રાખ્યો તે તેને ભૂલી જશે;

     કીડો મજાથી તેનું ભક્ષણ કરશે,

     તેને કોઈ યાદ નહિ કરે,

     આ રીતે, અનીતિને સડેલા વૃક્ષની જેમ ભાંગી નાખવામાં આવશે.

     21 નિ:સંતાન સ્ત્રીઓને તે સતાવે છે.

     તે વિધવાઓને સહાય કરતો નથી.

     22 તે પોતાના બળથી શક્તિશાળી માણસોને પણ નમાવે છે;

     તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.

     23 હા, ઈશ્વર તેઓને નિર્ભય સ્થિતિ આપે છે. અને તે પર તેઓ આધાર રાખે છે;

     તેમની નજર તેઓના માર્ગો ઉપર છે.

     24 થોડા સમય માટે દુષ્ટ માણસ ઉચ્ચ સ્થાને ચઢે છે પણ થોડી મુદત પછી તે નષ્ટ થાય છે;

     હા, તેઓને અધમ સ્તિથિમાં લાવવામાં આવે છે; બીજા બધાની જેમ તે મરી જાય છે;

     અનાજના કણસલાંની જેમ તે કપાઈ જાય છે.

     25 જો એવું ના હોય તો મને જૂઠો પાડનાર;

     તથા મારી વાતને વ્યર્થ ગણનાર કોણ છે?''


24:12 [1] ઈશ્વર ધનવાન દુષ્ટો પર દોષ મૂકશે નહિ.

Chapter 25

બિલ્દાદ

1 પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,

     2 ''સત્તા અને ભય તેમની પાસે છે;

     તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.

     3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે?

     અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?

     4 ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે?

     અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?

     5 જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે;

     અને તારાઓ પણ નિર્મળ નથી.

     6 તો પછી મનુષ્ય જે કીડા જેવો છે,

     અને મનુષ્યપુત્ર [1] જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!''


25:6 [1] માનવ જાત

Chapter 26

અયૂબ

1 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

     2 ''સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે?

     અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?

     3 અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો?

     અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?

     4 તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો?

     તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?''

બિલ્દાદ

     5 બિલ્દાદે ઉત્તર આપ્યો કે,

     પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.

     6 ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે,

     અને વિનાશને કોઈ આવરણ નથી.

     7 ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે,

     અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

     8 તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે

     અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.

     9 ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે.

     તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

     10 તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે,

     પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.

     11 તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે

     અને વિસ્મિત થાય છે.

     12 તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે.

     પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.

     13 તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે;

     તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.

     14 જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે;

     આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા?

     પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?''

Chapter 27

અયૂબ (ચાલુ)

1 અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,

     2 ''ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે,

     સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,

     3 જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી,

     ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,

     4 નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે;

     મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.

     5 હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો;

     હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.

     6 હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ

     મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.

     7 મારા શત્રુને દુષ્ટની જેમ;

     મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.

     8 જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે,

     તો પછી તેને શી આશા રહે?

     9 જયારે તેના પર દુ:ખ આવી પડશે

     ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?

     10 શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે.

     અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?

     11 ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ.

     સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.

     12 જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે;

     છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો?

સોફાર (ચાલુ)

     13 ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો,

     તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે

     14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે.

     અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.

     15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે.

     અને તેઓની [1] વિધવા શોક કરશે નહિ.

     16 જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે,

     અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે,

     17 તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે,

     અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે.

     18 કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ,

     તે પોતાનું ઘર બાંધે છે.

     19 તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ;

     પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.

     20 રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે;

     રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.

     21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે;

     તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.

     22 કેમ કે તે વાયુ [2] તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ;

     તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.

     23 તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે;

     તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.


27:15 [1] તેની
27:22 [2] ઈશ્વર

Chapter 28

જ્ઞાનનાં ગુણગાન

1 રૂપાને માટે ખાણ હોય છે,

     અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.

     2 લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,

     અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.

     3 માણસ અંધકારને ભેદે છે,

     અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ,

     છેક છેડાથી શોધી કાઢે છે.

     4 માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે.

     ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી,

     તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.

     5 ધરતીમાંથી અનાજ ઊગે છે

     અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.

     6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,

     અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.

     7 કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી.

     બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.

     8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી.

     મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.

     9 તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે.

     તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.

     10 તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે,

     અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.

     11 તે નદીઓને વહેતી બંધ કરે છે

     અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.

     12 પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે?

     અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?

     13 મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી;

     પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.

     14 ઊંડાણ કહે છે, 'તે મારી પાસે નથી;'

     મહાસાગરો કહે છે, 'તે મારી પાસે નથી.'

     15 તે સોનાથી ખરીદી શકાય નહિ.

     તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.

     16 ઓફીરના સોનાને ધોરણે કે

     મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.

     17 સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી.

     કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.

     18 પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું;

     જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.

     19 કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ,

     શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.

     20 ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે?

     અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?

     21 કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે.

     આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.

     22 વિનાશ [1] તથા મૃત્યુ કહે છે,

     'અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.'

     23 ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે,

     અને તે જ તેનું સ્થળ જાણે છે.

     24 કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે,

     આકાશની નીચે તે બધું જોઈ શકે છે.

     25 ઈશ્વર પવનનું વજન કરે છે,

     હા, તે પાણીને માપથી માપી નાખે છે.

     26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો,

     અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,

     27 તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું;

     તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.

     28 ઈશ્વરે માણસને કહ્યું,

     જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે;

     દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.'''


28:22 [1] અબદોન

Chapter 29

પોતાની સ્થિતિ અંગે અયૂબની આખરી રજૂઆત

અયૂબ

1 અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,

     2 ''અરે, જો આગળના વખતમાં હું હતો તેવો,

     અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!

     3 ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો

     અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.

     4 જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું!

     ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,

     5 તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા

     અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.

     6 તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા,

     અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!

     7 ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો,

     ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.

     8 યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા,

     અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.

     9 સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા

     અને મોં પર તેઓના હાથ મૂકતા.

     10 અધિકારીઓ બોલતા બંધ થઈ જતા,

     તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.

     11 કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા.

     અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા

     12 કેમ કે રડતાં ગરીબોને

     તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,

     13 જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા;

     વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.

     14 મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો,

     મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.

     15 હું અંધજનોની આંખ સમાન હતો;

     હું અપંગ માટે પગ સમાન હતો.

     16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો.

     જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.

     17 હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો;

     હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.

     18 ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ.

     મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.

     19 મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે

     અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.

     20 મારું ગૌરવ મારામાં તાજું છે.

     અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.

     21 લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા,

     તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.

     22 મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા.

     કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.

     23 તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા;

     અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.

     24 જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો;

     મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.

     25 હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો;

     હું સરદાર તરીકે બિરાજતો,

     અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.

Chapter 30

અયૂબ (ચાલુ)

     1 પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો,

     તેઓ આજે મારી હાંસી કરે છે.

     2 હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે

     તેઓના બાહુબળથી મને શો લાભ થાય?

     3 દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે;

     ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.

     4 તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે

     અને રોતેમ વૃક્ષનાં મૂળિયાં ખાય છે.

     5 તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

     ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે.

     6 તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં,

     અને ખાડાઓમાં પડી રહે છે.

     7 તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે;

     તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.

     8 તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે.

     દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.

     9 હવે તે માણસો મારી મશ્કરી કરે છેે.

     હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું.

     10 તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી.

     મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.

     11 કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે.

     અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે.

     12 મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે;

     તેઓ મને દૂર હાંકી કાઢે છે અને

     મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.

     13 તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું.

     મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.

     14 તેઓ દીવાલમાં બાકોરું પાડે છે.

     તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.

     15 મારા માથે વિનાશ આવી પડ્યો છે.

     તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે.

     મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે.

     16 હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે

     ઘણાં દુ:ખોના દિવસોએ મને ઘેરી લીધો છે.

     17 રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે,

     પીડા મને સતાવવાનું છોડતી નથી.

     18 મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે.

     મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે.

     19 ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે.

     હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.

     20 ઓ ઈશ્વર હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી.

     હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.

     21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો.

     તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.

     22 તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો;

     તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો.

     23 હું જાણું છું કે તમે મને મૃત્યુમાં,

     એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.

     24 મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે?

     તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે?

     25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી?

     કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?

     26 મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી

     મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.

     27 મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી.

     મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.

     28 હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું,

     હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.

     29 હું શિયાળોનો ભાઈ

     અને શાહમૃગોનો સાથી થયો છું.

     30 મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે.

     ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.

     31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે,

     મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.

Chapter 31

અયૂબ (ચાલુ)

     1 "મેં મારી આંખો સાથે કરાર કર્યો છે;

     તો હું કેવી રીતે કોઈ કુમારિકા પર વાસનાભરી નજર કરી શકું?"

     2 માટે ઉપરથી ઈશ્વર તરફથી શો હિસ્સો પ્રાપ્ત થાય,

     ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન ઈશ્વર પાસેથી વારસો મળે?

     3 હું વિચારતો હતો કે, વિપત્તિ અન્યાયીઓને માટે હોય છે,

     અને દુષ્ટતા કરનારાઓને માટે વિનાશ હોય છે.

     4 શું ઈશ્વર મારું વર્તન જોતા નથી

     અને મારાં બધાં પગલાં ગણતા નથી?

 

     5 જો મેં કપટભરેલાં આચરણ કર્યાં હોય,

     અને જો મારા પગે કોઈને છેતરવા માટે ઉતાવળ કરી હોય,

     6 તો મને ત્રાજવાનાં માપથી માપવામાં આવે

     કે જેથી ઈશ્વર જાણે કે હું નિર્દોષ છું.

     7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં,

     જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય,

     અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય,

     8 તો મારું વાવેલું અનાજ અન્ય લોકો ખાય;

     ખરેખર, ખેતરમાંથી મારી વાવણી ઉખેડી નાખવામાં આવે.

 

     9 જો મારું હૃદય પરસ્ત્રી પર લોભાયું હોય,

     જો હું મારા પડોશીના દરવાજાએ લાગ જોઈને સંતાઈ રહ્યો હોઉં,

     10 તો પછી મારી પત્ની અન્ય પુરુષને માટે રસોઈ કરે,

     અને તે અન્ય પુરુષની થઈ જાય.

     11 કારણ કે તે ભયંકર અપરાધ કહેવાય;

     ખરેખર, તે અપરાધ તો ન્યાયાધીશો દ્વારા અસહ્ય શિક્ષાને પાત્ર છે.

     12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે.

     અને મેં જે કંઈ વાવ્યું છે તે સર્વ બાળી શકે છે.

     13 જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય,

     મારે તેઓની સાથે તકરાર થઈ હોય,

     14 તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ?

     જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ?

     15 કારણ કે, જે ઈશ્વરે મારું સર્જન કર્યું છે તેમણે જ તેઓનું પણ સર્જન કર્યું નથી?

     શું તે જ ઈશ્વર સર્વને માતાઓના ગર્ભમાં આકાર આપતા નથી?

     16 જો મેં ગરીબોને તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું ન હોય,

     અથવા જો મેં વિધવાઓને રડાવી હોય,

     17 અને જો મેં મારું ભોજન એકલાએ જ ખાધું હોય

     અને અનાથોને જમવાને આપ્યું ન હોય

     18 પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે,

     અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે.

     19 જો મેં કોઈને પહેરણ વિના નાશ પામતા જોયો હોય,

     અથવા તો ગરીબ માણસને વસ્ત્રો વિનાનો જોયો હોય;

     20 જો તેણે મારી પ્રશંસા ન કરી હોય,

     કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય,

     21 જો શહેરના દરવાજાઓમાં બેઠેલાઓને મારા પક્ષના જાણીને

     અને અનાથો પર મારો હાથ ઉઠાવ્યો હોય,

     22 તો મારો હાથ ખભામાંથી ખરી પડો,

     અને મારા ખભાને તેના જોડાણમાંથી ભાંગી નાખવામાં આવે.

     23 પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે;

     કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી.

     24 જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય,

     અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, 'તુ જ મારી એકમાત્ર આશા છે';

     25 મારી સંપત્તિને લીધે જો હું અભિમાની થયો હોઉં,

     કારણ કે મારા હાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી છે;

     26 જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય,

     અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય,

     27 અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય

     અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય,

     28 તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે,

     જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય.

     29 જો મેં મને ધિક્કારનારાઓના વિનાશ પર આનંદ કર્યો હોય

     અથવા જ્યારે નુકસાન થયું હોય ત્યારે મેં પોતાને અભિનંદન પાઠવ્યાં હોય,

     30 તેથી ઊલટું ખરેખર, તો મેં મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું

     અને તેઓ મરણ પામે તે ઇચ્છવાનું પાપ થવા દીધું નથી.

     31 જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય

     એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?'

     32 પરદેશીને શહેરના ચોકમાં રહેવું પડતું નહતું;

     તેને બદલે, હું મુસાફરને માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખતો હતો.

     33 જો મેં મારાં પાપો છુપાવીને,

     માનવજાતની જેમ જો મારાં અપરાધો મારી અંદર સંતાડ્યા હોય

     34 અને મોટા જનસમુદાયથી ડરીને,

     અને કુટુંબના તિરસ્કારથી ડરીને

     હું મારા ઘરની અંદર છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર ગયો ન હોઉં.

     35 અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું!

     જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો.

     જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું!

     36 તો હું સાચે જ તેને મારે ખભે ઊંચકી લેત;

     હું તેને રાજમુગટની જેમ પહેરત.

     37 મેં મારાં પગલાં તેની સમક્ષ જાહેર કર્યા હોત;

     તો હું ભરોસાપાત્ર થઈને મારું માથું ઊચુ રાખીને તેની સમક્ષ હાજર થાત.

     38 જો કદાપિ મારી જમીન મારી વિરુદ્ધ પોકારે,

     અને તે જમીનના ચાસ ભેગા થઈને રડતાં હોય,

     39 જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વિના ખાધી હોય

     અથવા તેના માલિકોનો જીવ મારાથી ગુમાવ્યો હોય,

     40 તો મારી જમીનમાં ઘઉંને બદલે કાંટા ઉત્પન્ન થાય

     અને જવને બદલે ઘાસ ઉત્પન્ન થાય."

 

     અહીંયાં અયૂબના શબ્દો સમાપ્ત થાય છે.

Chapter 32

અલિહૂનાં મંતવ્યો

(૩૨:૧-૩૭:૨૪)

1 પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો. 2 પછી રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ગુસ્સે આવ્યો; કારણ કે અયૂબે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી જાહેર કર્યો હતો.

3 અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો. 4 હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા. 5 તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો.

અલિહૂ

6 બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે,

     "હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો.

     તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ."

     7 મેં કહ્યું, "દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ;

     અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ.

     8 પણ માણસમાં આત્મા રહેલો છે;

     અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે.

     9 મહાન લોકો જ બુદ્ધિમાન હોય છે તેવું નથી,

     અથવા વૃદ્ધ લોકો જ ન્યાય સમજે છે તે પ્રમાણે હંમેશા હોતું નથી.

     10 તે માટે હું કહું છું કે, 'મને સાંભળો;

     હું પણ તમને મારું ડહાપણ જાહેર કરીશ'.

     11 જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું;

     મેં તમારા શબ્દોની રાહ જોઈ

     અને મેં તમારી દલીલો સાંભળી.

     12 ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા,

     પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ

     અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ.

     13 સાવચેત રહેજો અને એવું ન કહેતા કે, 'અમને ડહાપણ પ્રાપ્ત થયું છે!"

     ઈશ્વર અયૂબને હરાવશે; સામાન્ય માણસ કંઈ કરી શકે નહિ.

     14 અયૂબે મારી સાથે દલીલ કરી નથી,

     તેથી હું તમારા શબ્દોથી તેને સામો જવાબ આપીશ નહિ.

     15 આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં.

     તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી.

     16 કારણ કે તેઓ શાંત ઊભા છે અને જવાબ આપતા નથી,

     તેઓ વાત કરતા નથી તેથી શું હું રાહ જોઈ બેસી રહું?

     17 ના, હું પણ જવાબમાં મારો અભિપ્રાય આપીશ;

     હું તેઓને મારા વિચારો જાહેર કરીશ.

     18 મારી પાસે કહેવાને ઘણી બાબતો છે;

     મારો આત્મા મને ફરજ પાડે છે.

     19 જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે,

     નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.

     20 હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય;

     હું મારા મુખે જવાબ આપીશ.

     21 હું પક્ષપાત કરીશ નહિ;

     અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ.

     22 કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી;

     જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.

Chapter 33

અલિહૂ (ચાલુ)

1 હવે, હે અયૂબ, હું જે કહું તે કૃપા કરીને સાંભળ;

     મારા સર્વ શબ્દો પર લક્ષ આપ.

     2 જો, હવે મેં મારું મુખ ખોલ્યું છે;

     મારા મુખમાં મારી જીભ બોલવાની તૈયારીમાં છે.

     3 મારા શબ્દો મારું અંતઃકરણ પ્રગટ કરશે;

     મારા હોઠો જાણે છે કે જે સત્ય છે તે જ હું બોલીશ.

     4 ઈશ્વરના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે;

     સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે.

     5 જો તારાથી શક્ય હોય, તો તું મને જવાબ આપ;

     ઊભો થઈ જા અને તારી દલીલો મારી સામે રજૂ કર.

     6 જુઓ, આપણે બન્ને ઈશ્વરની નજરમાં સમાન છીએ;

     મને પણ માટીમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો છે.

     7 જો, તારે મારાથી ડરવાની જરૂર નથી,

     અથવા મારું દબાણ તને ભારે પડશે નહિ.

 

     8 નિશ્ચે તેં મારા સંભાળતાં કહ્યું છે;

     મેં તને એવા શબ્દો કહેતા સાંભળ્યો છે,

     9 'હું શુદ્ધ અને અપરાધ વિનાનો છું;

     હું નિર્દોષ છું અને મારામાં કોઈ પાપ નથી.

     10 જો, ઈશ્વર મારા પર હુમલો કરવાની તક શોધે છે;

     તેઓ મને તેમના એક દુશ્મન સમાન ગણે છે.

     11 તે મારા પગોને હેડમાં મૂકે છે;

     તે મારા સર્વ માર્ગોની સંભાળ રાખે છે.'

     12 જો, હું તને જવાબ આપીશ કે:

     ઈશ્વર માણસ કરતાં મહાન છે માટે તારે તે કહેવું યોગ્ય નથી.

     13 "તું શા માટે તેમની સાથે બાથ ભીડે છે?"

     કારણ કે તે કોઈના [1] કાર્યો વિષે મહિતી આપતા નથી.

     14 કેમ કે ઈશ્વર એક વાર બોલે છે

     હા, બે વાર બોલે છે, છતાં પણ માણસ તે બાબત પર ધ્યાન આપતો નથી.

     15 જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે,

     પથારી પર ઊંઘતા હોય,

     સ્વપ્નમાં અથવા રાતના સંદર્શનમાં હોય ત્યારે,

     16 ઈશ્વર માણસોના કાન ઉઘાડે છે,

     અને તેઓને ચેતવણીથી ભયભીત કરે છે,

     17 અને આ મુજબ માણસને તેના પાપી ધ્યેયોથી અટકાવે,

     અને તેને અહંકારથી દૂર કરે.

     18 ઈશ્વર લોકોના જીવનોને ખાડામાં પડતા અટકાવે છે,

     અને તેઓનાં જીવનને નાશ પામતા બચાવે છે.

 

     19 તેમ છતાં માણસને પથારીમાં થતા દુઃખથી,

     અને તેનાં હાડકામાં વેદના આપીને તેમને સમજાવે છે.

     20 તેથી તેનું જીવન ભોજનથી,

     અને તેનો આત્મા સ્વાદિષ્ટ ભોજનથી પણ કંટાળી જાય છે.

     21 તેનું શરીર સુકાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે;

     તેનાં હાડકાં દેખાતાં ન હતાં તે હવે દેખાઈ આવે છે.

     22 ખરેખર, તેનો આત્મા કબરની પાસે છે,

     અને તેનું જીવન નાશ કરનારાઓની નજીક છે.

     23 માણસને શું કરવું સારું છે તે બતાવવાને,

     હજારો સ્વર્ગદૂતોમાંથી એક દૂત,

     મધ્યસ્થી તરીકે તેની સાથે હોય,

     24 અને તે દૂત તેેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે,

     'આ માણસને કબરમાં જતાં અટકાવો;

     કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,'

     25 ત્યારબાદ તેનું શરીર નાના બાળક કરતાં શુદ્ધ થઈ જશે;

     અને તે પાછો તેની યુવાનીના દિવસો પ્રાપ્ત કરશે.

     26 તે ઈશ્વરને પ્રાર્થના કરશે અને ઈશ્વર તેને કૃપા આપે છે,

     અને તે ઈશ્વરનું મુખ જોઈને આનંદ કરે છે.

     અને ઈશ્વર તે માણસને તેની પ્રામાણિક્તા પાછી આપે છે.

     27 ત્યારે તે માણસ અન્ય લોકોની સમક્ષ સ્તુતિ કરશે અને કહેશે કે,

     મેં પાપ કર્યું હતું અને જે સત્ય હતું તેને વિપરીત કર્યું હતું,

     પણ મારા પાપ પ્રમાણે મને સજા કરવામાં આવી નહિ.

     28 'ઈશ્વરે મને મોતના મુખમાંથી બચાવ્યો છે;

     અને હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.'

 

     29 જુઓ, ઈશ્વર આ બધી બાબતો માણસો સાથે કરે છે,

     બે વાર, હા, ત્રણ વાર પણ તે એમ જ વર્તે છે,

     30 તેઓ તેનું જીવન કબરમાંથી પાછું લાવે છે,

     જેથી તેને જીવનનો પ્રકાશ પ્રાપ્ત થાય.

     31 હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ;

     તું શાંત રહે અને હું બોલીશ.

     32 પણ જો તારે કંઈ કહેવું હોય, તો મને જવાબ આપ;

     બોલ, કારણ કે, હું તને નિર્દોષ જાહેર કરવા માગું છું.

     33 જો, નહિતો મારું સાંભળ;

     શાંત રહે અને હું તને જ્ઞાન શીખવીશ."


33:13 [1] પોતાના

Chapter 34

અલિહૂ (ચાલુ)

1 અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:

     2 "હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો;

     અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો."

     3 જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે

     તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.

     4 આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ

     આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ.

     5 કારણ કે અયૂબે કહ્યું છે કે, 'હું ન્યાયી છું,

     અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે.

     6 હું ન્યાયી છું છતાં હું જૂઠાબોલા તરીકે ગણાઉં છું.

     મારા જખમ જીવલેણ છે; છતાં પણ હું પાપ વિનાનો છું.'

     7 અયૂબના જેવો માણસ કોણ છે,

     કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે,

     8 તે દુષ્ટતા કરનારા લોકોની સંગતમાં રહે છે,

     અને તે દુષ્ટ લોકોની સાથે ફરે છે.

     9 તેણે કહ્યું છે કે, 'ઈશ્વર જે ઇચ્છે છે તે કરવામાં

     માણસને કોઈ ફાયદો નથી.'

 

     10 તેથી હે શાણા માણસો, મારું સાંભળો:

     ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ;

     અને સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ.

     11 કારણ કે તે વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો આપે છે;

     તેઓ દરેક માણસને તેનો બદલો આપશે.

     12 ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ,

     અથવા સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ અન્યાય કરે નહિ.

     13 કોણે તેમને પૃથ્વીની જવાબદારી આપી છે?

     કોણે તેમને દરેક વસ્તુઓ પર સત્તા આપી છે?

     14 જો તે માત્ર પોતાના જ ઇરાદા પાર પાડે

     જો ઈશ્વર પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે,

     15 તો સર્વ માણસો નાશ પામે;

     અને માણસ જાત ફરી પાછી ધૂળ ભેગી થઈ જાય.

 

     16 જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો;

     મારા શબ્દો ધ્યાનમાં રાખો.

     17 જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે?

     ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ?

     18 ઈશ્વર કદી રાજાને કહે છે કે, 'તું નકામો છે,'

     અથવા રાજકુમારોને કહે છે કે, 'તમે દુષ્ટ છો?'

     19 ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી

     અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી,

     કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે.

     20 એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે;

     મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે;

     મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ.

 

     21 કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે;

     તે તેની સઘળી વર્તણૂક જુએ છે.

     22 દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ

     પડદો કે અંધકાર નથી.

     23 કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી;

     કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી.

     24 ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી;

     તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે.

     25 આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે;

     તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે.

     26 દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે

     27 કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે

     અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે.

     28 આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે;

     તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે.

     29 જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે?

     પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે?

     તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે,

     30 કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ,

     એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ.

     31 શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે કે,

     'હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ;

     32 હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ;

     મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.'

     33 તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે?

     એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ.

     માટે જે કંઈ તું જાણે છે તે કહે.

     34 ડાહ્યો માણસ મને કહેશે,

     ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે,

     35 'અયૂબ જ્ઞાન વગર બોલે છે;

     તેના શબ્દો ડહાપણ વિનાના છે.'

     36 દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની

     અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું!

     37 "કેમ કે તે પોતાનાં પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે;

     તે આપણી મધ્યે અપમાન કરીને તાળીઓ પાડે છે;

     તે ઈશ્વરની વિરુદ્ધ લાંબી વાતો કરે છે."

Chapter 35

અલિહૂ (ચાલુ)

1 અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,

     2 તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે?

     તું એમ કહે છે કે, 'ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?'

     3 તું એમ માને છે કે, 'હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો?

     મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?'

     4 હું તને તથા તારા મિત્રોને,

     જવાબ આપીશ.

     5 ઊંચે આકાશમાં જો;

     વાદળાં જો, જે તારા કરતાં કેટલા ઊંચા છે?

     6 જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો?

     જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?

     7 જો તું ન્યાયી હોય, તો તું તેમને શું આપી દે છે?

     તેઓને તારી પાસેથી શું મળવાનું છે?

     8 તારી દુષ્ટતા બીજા માણસને નુકશાન કરે છે, જેમ તું પણ માણસ છે તેમ.

     પણ તારા ન્યાયીપણાથી બીજા માણસનાં [1] દીકરાને ફાયદો થાય છે.

     9 જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે;

     તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે

     10 પણ કોઈ એમ કહેતું નથી, 'મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે,

     જે મને રાત્રે ગાયન આપે છે,

     11 જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં,

     અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?'

     12 તેઓ પોકાર કરે છે,

     પણ દુષ્ટ માણસનાં અભિમાનને કારણે કોઈ તેમને સાંભળતું નથી.

     13 નિશ્ચે ઈશ્વર દંભીઓની માંગણીઓ સાંભળશે નહિ;

     સર્વશક્તિમાન ઈશ્વર તેઓ તરફ ધ્યાન આપશે નહિ.

     14 તું કહે છે કે, તું તેમને જોતો નથી, ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે,

     તારી સર્વ બાબતો તેમની સમક્ષ છે માટે તું તેમની રાહ જો!

     15 તું કહે છે કે, ઈશ્વર કોઈને ક્રોધમાં સજા કરતા નથી ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે.

     અને તેઓ લોકોના અભિમાનની કદર કરતા નથી.

     16 "તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે;

     અને તે અજ્ઞાની શબ્દો ઉચ્ચારે છે."


35:8 [1] લોક

Chapter 36

અલિહૂ (ચાલુ)

1 અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,

     2 "મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ

     કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું."

     3 હું દુરથી ડહાપણ લાવીને;

     મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ.

     4 હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે

     કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે.

     5 જુઓ, ઈશ્વર સર્વશક્તિમાન છે, અને તે કોઈનો પણ તિરસ્કાર કરતા નથી;

     તે મહા બુદ્ધિમાન અને વિદ્વાન છે.

     6 તેઓ દુષ્ટોને સાચવતા નથી,

     પણ ગરીબોના હિતમાં સારું કરે છે.

     7 ન્યાયી માણસ પરથી તેઓની દ્રષ્ટિ દૂર કરતા નથી,

     પણ તેથી વિપરીત, તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે,

     અને તેઓ સદા ઉચ્ચસ્થાન પર રહે છે.

     8 જો, જેથી કરીને તેઓને સાંકળોએ બાંધવામાં આવ્યા છે,

     અને તેઓ વિપત્તિમાં સપડાયા છે,

     9 તેઓએ શું કર્યું છે તે તેઓને જણાવશે,

     કે તેઓએ કરેલા અપરાધો અને કેવી રીતે અહંકારથી વર્ત્યા છે.

     10 તે તેઓના અપરાધોથી પાછા ફરવાનો આદેશ આપશે,

     અને શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડશે.

     11 જો તેઓ તેમનું સાંભળીને તેમની સેવા કરશે તો,

     તેઓ આયુષ્યના દિવસો સમૃદ્ધિમાં પસાર કરશે,

     તેઓના જીવનનાં વર્ષો સંતોષથી ભરેલાં થશે.

     12 પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો,

     તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે.

     13 જેઓ પોતાના હૃદયથી ઈશ્વર પર ભરોસા રાખતા નથી [1] તેઓ પોતાના હૃદયમાં ગુસ્સો ભેગો કરે છે;

     ઈશ્વર તેઓને શિક્ષા કરે છે તેમ છતાં તેઓ મદદને માટે પ્રાર્થના કરતા નથી.

     14 તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે;

     અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે.

     15 ઈશ્વર દુઃખીઓને તેઓના દુઃખમાંથી છોડાવે છે;

     અને તે તેઓને જુલમ દ્વારા સાંભળતા કરે છે.

     16 નિશ્ચે, તે તને વિપત્તિમાંથી બહાર લાવ્યા છે.

     જ્યાં સંકટ ન હોય તેવી વિશાળ જગ્યામાં લઈ જાય છે

     અને તને ખાવાને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.

     17 તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે;

     ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે.

     18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ;

     અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ.

     19 શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે,

     અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?

     20 અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર,

     કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે.

     21 સાવધ રહેજે, પાપ કરવા તરફ ન ફર,

     કારણ કે તને સંકટમાંથી પસાર કરાવ્યો છે કે જેથી તું પાપ કરવાથી દૂર રહે.

     22 જુઓ, ઈશ્વર તેમનાં સામર્થ્ય દ્વારા મહિમાવાન થાય છે;

     તેમના જેવો ગુરુ કોઈ છે?

     23 તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું?

     અથવા કોણ તેમને કહી શકે છે કે, 'તમે અન્યાય કર્યો છે?'

     24 તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ,

     લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે.

     25 ઈશ્વરે જે કંઈ કર્યુ છે તે સર્વએ નિહાળ્યું છે,

     પણ તેઓએ તે કાર્યો દૂરથી જ જોયાં છે.

     26 જુઓ, ઈશ્વર મહાન છે, આપણે તેમને સંપૂર્ણપણે સમજી શક્તા નથી;

     તેમનાં વર્ષોની સંખ્યા અગણિત છે.

     27 તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે

     અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે,

     28 તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે,

     અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે.

     29 ખરેખર, વાદળોનો વિસ્તાર કેટલો છે

     અને તેનાં ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તેને કોણ સમજી શકે?

     30 જુઓ, તેઓ પૃથ્વી પર વીજળી ફેલાવે છે

     અને મહાસાગરને અંધકારથી ઢાંકી દે છે.

     31 આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે,

     અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.

     32 તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે,

     અને તેને પાડવાની હોય ત્યાં પડવાને આજ્ઞા કરે છે.

     33 તેઓની ગર્જના લોકોને આવનાર તોફાન વિષે ચેતવણી આપે છે:

     તે જાનવર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.


36:13 [1] હૃદયમાં કપટ રાખનારાઓ

Chapter 37

અલિહૂ (ચાલુ)

1 નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે;

     તે તેની જગ્યાએથી ખસી જાય છે.

     2 તેમના [1] મુખમાંથી નીકળતા અવાજ,

     ધ્યાનથી સાંભળો.

     3 આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે,

     અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.

     4 તેમની પાછળ અવાજ થાય છે;

     તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે;

     જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે.

     5 ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે;

     તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી.

     6 તેમણે બરફને કહ્યું, 'પૃથ્વી પર પડો'

     તે જ રીતે વરસાદને વરસવાનું,

     અને 'પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.'

     7 આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે,

     કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે.

     8 ત્યારે પશુઓ સંતાઈ જાય છે

     અને તેઓની ગુફામાં ભરાઈ જાય છે.

     9 દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે,

     અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે.

     10 ઈશ્વરના શ્વાસથી હિમ થાય છે;

     અને સમુદ્રો ધાતુની માફક થીજી જાય છે.

     11 ખરેખર, તે ભારે વાદળોને પાણીથી ભરી દે છે;

     અને વાદળોમાં તે વીજળીઓને ચમકાવે છે.

     12 તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે,

     જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે.

     13 લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે,

     અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે.

     14 હે અયૂબ, આ વાત પર લક્ષ આપ;

     જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.

     15 ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે,

     અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી?

     16 વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે,

     જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?

     17 તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે.

     અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?

     18 જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો?

     આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો?

     19 અમારે શું કહેવું તે અમને શીખવ,

     કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.

     20 શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી?

     શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?

     21 જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે

     લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.

     22 તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા

     અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી.

     23 સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી;

     તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે.

     તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી.

     24 તેથી લોકો તેમનાથી ડરે છે.

     "પણ જેઓ પોતાની જાતને જ્ઞાની માને છે, તેવા લોકોને ઈશ્વર ગણકારતા નથી."


37:2 [1] ઈશ્વરના

Chapter 38

યહોવાહે અયૂબને આપેલો પ્રત્યુત્તર

1 પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,

     2 "અજ્ઞાની શબ્દોથી

     ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે?

     3 બળવાનની માફક તારી કમર બાંધ;

     કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે.

     4 જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?

     તું બહુ સમજે છે તો આ મને જણાવ.

     5 પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે.

     અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી?

     6 શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે?

     તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે?

     7 કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું,

     અને સર્વ ઈશ્વરના પુત્રો આનંદથી પોકાર કર્યો?

 

     8 જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને

     રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા?

     9 જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું,

     અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો.

     10 મેં તેની બાજુઓની હદ બનાવી,

     અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી,

     11 મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ;

     અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.'

     12 શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે?

     સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?

     13 માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે,

     તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે.

     14 જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે;

     સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે.

     15 દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે;

     અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે.

 

     16 તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે?

     તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે?

     17 શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે?

     શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે?

     18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે?

     આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે.

     19 પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે?

     અંધકારનું સ્થાન ક્યાં છે?

     20 શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે?

     શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે?

     21 આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો;

     અને તારા આયુષ્યના દિવસો લાંબા છે!

     22 શું તું બરફના ભંડારોમાં ગયો છે,

     અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે,

     23 આ સર્વ બાબતો આફતના સમયને માટે,

     અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે.

     24 જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે

     તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે?

     25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાંં અને ખીણો કોણે ખોદ્યા છે?

     ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?

     26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો,

     એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે,

     27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય,

     જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે.

     28 શું વરસાદનો કોઈ પિતા છે?

     ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?

     29 કોના ગર્ભમાંથી હિમ આવે છે?

     આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે?

     30 પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે;

     અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે.

     31 આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?

     શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે?

     32 શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?

     શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?

     33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?

     શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે?

     34 શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે,

     કે જેથી પુષ્કળ વરસાદ આવે?

     35 શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે,

     તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?'

     36 વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે?

     અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે?

     37 કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે?

     કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે

     38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ

     અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે?

     39 શું તું સિંહણને માટે શિકાર પકડી શકે,

     અથવા તો શું તમે તેના જુવાન સિંહણના બચ્ચાના ભૂખને સંતોષી શકે છે?

     40 જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે

     અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?

     41 જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે

     અને ઈશ્વરને પોકાર કરે છે

     ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?

Chapter 39

યહોવાહ (ચાલુ)

1 ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે?

     શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?

     2 તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે?

     શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે?

     3 તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે,

     અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે

     4 તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે;

     તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.

 

     5 જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે?

     તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે?

     6 તેનું ઘર મેં અરાબાહમાં,

     તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.

     7 તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે

     અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.

     8 જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે;

     ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.

     9 શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા?

     તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે?

     10 શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે?

     શું તે તારા માટે હળ ખેડશે?

     11 જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે?

     તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે?

     12 શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે?

     અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે?

 

     13 શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે,

     પણ તેની પાંખો અને પીંછાઓ શું માયાળુ હોય છે?

     14 કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે

     અને ધૂળ ઈંડાને સેવે છે.

     15 કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે

     અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.

     16 તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ;

     તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી.

     17 કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે

     અને તેમણે તેને અક્કલ આપી નથી.

     18 તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે,

     ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.

 

     19 શું ઘોડાને બળ તેં આપ્યું છે?

     શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?

     20 શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે?

     તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.

     21 તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે;

     અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.

     22 તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી;

     તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.

     23 ભાથો, તીરો તથા ચમકતી બરછી

     તેના શરીર પર ખખડે છે.

     24 ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે;

     જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.

     25 જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે 'વાહ!'

     તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે,

     સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.

     26 શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે,

     અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?

     27 શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે

     શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું?

     28 ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે

     ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.

     29 "ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે;

     તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.

     30 તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે;

     અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે."

Chapter 40

યહોવાહ (ચાલુ)

1 યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

     2 "જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે?

     જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે."

અયૂબ

     3 ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,

     4 "હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું?

     હું મારો હાથ મારા મોં પર રાખું છું.

     5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ;

     હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ."

યહોવાહ

     6 પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,

     7 "હવે બળવાનની માફક જવાબ આપ,

     હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.

     8 શું તું માને છે કે હું અન્યાયી છું?

     તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?

     9 તને ઈશ્વરના જેવા હાથ છે?

     શું તું ગર્જના કરી શકે છે?

     10 તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર;

     તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.

     11 તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે;

     તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.

     12 જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ;

     દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.

     13 તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે;

     તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.

     14 પછી હું પણ તને માન્ય કરીશ કે,

     તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.

     15 બહેમોથની [1] સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે,

     તે બળદની જેમ ઘાસ ખાય છે.

     16 હવે જો, તેનું બળ તેની કમરમાં છે;

     તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.

     17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે;

     એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.

     18 તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે;

     તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.

 

     19 પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે.

     માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.

     20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે;

     ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.

     21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે.

     તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.

     22 કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે;

     તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.

     23 જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે,

     જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.

     24 શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે,

     અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?


40:15 [1] એક જાતનો મોટો પશુ

Chapter 41

યહોવાહ (ચાલુ)

1 શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને [1] તેને પકડવાના આંકડાથી પકડી શકે છે?

     અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?

     2 શું તું તેના નાકને વીંધી શકે છે,

     અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?

     3 શું તે તારી સમક્ષ આજીજી કરશે?

     શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?

     4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે,

     તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે?

     5 તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે?

     શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?

     6 શું માછીઓ તેનો પાર કરશે?

     શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?

     7 શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય

     અથવા શું અણીદાર માછલીના કાંટાથી તેના માથામાં ભોંકી શકાય?

     8 તારો હાથ તેના પર મૂકી જો,

     ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.

     9 જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે.

     શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?

     10 તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી.

     તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?

     11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે?

     આખા આકાશ તળે એવો કોઈ નથી.

     12 તેના અવયવો, તેનું બળ,

     અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.

     13 તેના વસ્ત્રને કોણ ઉતારી શકે છે?

     કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે?

     14 તેના દાંત જે લોકોને બીવડાવે છે,

     એવા દાંતવાળા તેના મુખના દરવાજા કોણ ખોલી શકે?

     15 તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે,

     તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સજ્જડ છે.

 

     16 તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે,

     કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી.

     17 તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે;

     તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ.

     18 તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે;

     તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે.

     19 તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે,

     અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.

     20 ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક,

     તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.

     21 તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે;

     તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.

     22 તેની ગરદનમાં બળ છે,

     તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે

     23 તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે;

     તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી.

     24 તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી

     નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.

     25 જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સર્વ દેવો પણ તેનાથી ડરી જાય છે;

     અને બીકને કારણે તેઓ ભાગી જાય છે.

     26 જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી,

     અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.

     27 તેની આગળ લોખંડ ઘાસ જેવું,

     અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.

     28 બાણ પણ તેને નસાડી શકતું નથી;

     પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.

     29 લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે;

     અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.

     30 તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે;

     અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.

     31 અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે;

     તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.

     32 તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે;

     કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.

     33 પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી,

     તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.

     34 "તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે;

     તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે."


41:1 [1] લેવીયાથાન

Chapter 42

અયૂબ

1 ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,

     2 "હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો,

     અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.

     3 અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?" તે તમે સાચું જ કહ્યું હતું,

     તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી,

     મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી.

     4 તમે મને કહ્યું હતું, 'સાંભળ, હવે હું તને પૂછીશ;

     હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.'

     5 મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું,

     પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.

     6 તેથી હું મારી જાતને ધિક્કારું છું;

     અને હું ધૂળ તથા રાખ પર બેસીને પશ્ચાતાપ કરું છું."

ઉપસંહાર

7 અયૂબ સાથે વાત કરી રહ્યા પછી યહોવાહે અલિફાઝ તેમાનીને કહ્યું, "હું તારા પર અને તારા બન્ને મિત્રો પર ગુસ્સે થયો છું, કારણ કે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નથી. 8 એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ." 9 તેથી અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથીએ યહોવાહે જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યુ; અને યહોવાહે અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10 જ્યારે અયૂબે તેના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરી. અને અગાઉ તેની પાસે હતું તે કરતા બે ગણું વધારે યહોવાહે તેને આપ્યું. 11 અયૂબના સર્વ ભાઈઓ, સર્વ બહેનો અને અગાઉ તેના જે ઓળખીતાઓ હતા તેઓ સર્વ તેની પાસે તેના ઘરમાં આવ્યા અને તેની સાથે ભોજન કર્યું. અને યહોવાહ તેની પર જે વિપત્તિ લાવ્યા હતા તે સંબંધી તેઓએ અયૂબને સાંત્વના આપ્યું. દરેક માણસે તેને ચાંદીનો એક સિક્કો અને એક સોનાની વીંટી આપી.

12 યહોવાહે અયૂબને અગાઉ કરતાં વધારે આશીર્વાદ આપ્યો; હવે અયૂબની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બે હજાર બળદ અને એક હજાર ગધેડીઓ હતી. 13 તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી. 14 અયૂબની સૌથી મોટી દીકરીનું નામ યમીમા, બીજીનું નામ કસીયા અને સૌથી ત્રીજી દીકરીનું નામ કેરન-હાપ્પૂખ હતું.

15 સમગ્ર દેશમાં અયૂબની દીકરીઓ જેવી અન્ય કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. અયૂબે તેઓના ભાઈઓની સાથે તેઓને વારસો આપ્યો. 16 ત્યાર પછી અયૂબ, એક્સો ચાલીસ વર્ષ જીવ્યો; અને તેણે પોતાના દીકરાઓના દીકરાઓ, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ અને એમ ચાર પેઢીઓ જોઈ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો.